- તા.24,25,26 દરમ્યાન 33 જિલ્લા 8 મહાનગરમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન
વડોદરા, તા. 15
ગુજરાત સરકાર આગામી તારીખ 24, 25, 26 દરમિયાન 33 જિલ્લા અને 8 કોર્પોરેશનમાં 41 ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવા જણાવ્યું છે તેની સાથે કોઈ લાભાર્થી બેવડાય નહીં તેની તકેદારી રાખવા પણ સુચના આપી છે.
કોરોના કાળની પરિસ્થિતિને કારણે છેલ્લા બે વર્ષથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન મોકૂફ રાખવામાં આવતું હતું હવે નવી સરકાર દ્વારા અને આગામી નવેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે તે પૂર્વે ગુજરાતના 33 જિલ્લા અને આઠ કોર્પોરેશનમાં તારીખ 24 25 અને 26 દરમ્યાન ગમે તે એક દિવસ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવનાર છે.
આ અંગે ચીફ સેક્રેટરીએ વિડીયો કોન્ફરન્સ કરી કોર્પોરેશન અને જિલ્લા પંચાયતના અધિકારીઓને સુચના આપી હતી કે, ગુજરાત સરકારના અલગ-અલગ 20 વિવિધ વિભાગની સહાય યોજના જેમાં 40થી વધુ યોજનાનો વ્યક્તિગત લાભ ગરીબોને મળે તેને ધ્યાનમાં રાખી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવાનું રહેશે.
આ ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ સરકારી યોજના નો લાભ વધુ ને વધુ લોકોને મળે તે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવે તેવું આયોજન કરવાનું રહેશે
ચીફ સેક્રેટરીએ એવી પણ સૂચના આપી હતી કે અગાઉ ગરીબ કલ્યાણ મેળામાં જે લાભાર્થીઓએ સરકારી યોજનાઓનો લાભ મેળવ્યો છે તેઓને ફરીથી લાભ મળી શકે નહીં તેને ધ્યાનમાં રાખી કોઈ લાભાર્થી ફરી બેવડાય નહીં તેની ખાસ તકેદારી રાખવાની રહેશે.


