વડોદરાઃ ખાનગી શાળાઓના શિક્ષકોનેે તો સ્કૂલ દ્વારા જ એઆઈને લગતી તાલીમ અને જાણકારી અપાઈ રહી છે પણ એઆઈના વધતા જતા પ્રભાવ વચ્ચે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોને પણ એઆઈની તાલીમ આપવા માટેનો પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે.
ડીઈઓ કચેરી દ્વારા સ્વૈચ્છિક સંસ્થાની મદદથી શરુ કરાયેલા અભિયાનમાં શહેર અને જિલ્લાની સ્કૂલોના ૨૫૦૦ જેટલા શિક્ષકોને તબક્કાવાર આવરી લેવામાં આવશે.આ પ્રોજેકટનું લોન્ચિંગ ડીઈઓ મહેશ પાંડેની હાજરીમાં મંગળવારે કરવામાં આવ્યું હતું.જેમાં હાજર રહેલા શિક્ષકોને પ્રોજેકટ અંગે જાણકારી આપવામાં આવી હતી.
પ્રોજેકટ સાથે સંકળાયેલા હાર્દિક પંડયાએ જાણકારી આપતા કહ્યું હતું કે, શિક્ષકોને ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને મોડમાં તાલીમ અપાશે.જેનાથી શિક્ષકો વિદ્યાર્થીઓના લેસન તૈયાર કરવા, શૈક્ષણિક વિડિયો બનાવવા, વિદ્યાર્થીઓનો રેકોર્ડ સાચવવા સહિતની કામગીરી માટે એઆઈનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખી શકશે.શિક્ષકોને ૧૨ મોડયુલની તાલીમ અપાશે.


