ગુજરાત માટે રાહતના સમાચાર: નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 15000 ક્યુસેક પાણી છોડાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Narmada Dam water release : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી રાજ્યના નાગરિકો અને જગતના તાત માટે ખૂબ જ આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પીવા તેમજ સિંચાઈના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે નર્મદા ડેમમાંથી નર્મદા મુખ્ય કેનાલમાં 15000 ક્યુસેક પાણી છોડવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાણી છોડાતાની સાથે જ છેક કચ્છ સુધી પાણી પહોંચાડી દેવામાં આવ્યું છે, જેનાથી ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ખુશીનો માહોલ છે.
મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોની રજૂઆત ફળી
રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે ગુજરાતના ખેડૂતોએ પોતાના કિંમતી ઉનાળુ પાકને સુકાઈ જતો બચાવવા માટે મુખ્યમંત્રી સમક્ષ નર્મદાનું પાણી આપવા માટે કાકલૂદી અને ઉગ્ર માંગ કરી હતી. ખેડૂતોની આ વ્યાજબી માંગણીને ધ્યાને રાખીને સરકારે તાત્કાલિક ધોરણે પાણી છોડવાનો આદેશ આપ્યો હતો, જે અંતર્ગત આજે 15000 ક્યુસેક પાણી કેનાલ મારફતે વહાવવામાં આવી રહ્યું છે.
સરદાર સરોવર ડેમની વર્તમાન સ્થિતિ:
વર્તમાન જળસપાટી: નર્મદા ડેમની હાલની સપાટી 127.64 મીટર પર પહોંચી છે.
પાણીની આવક: ડેમમાં આજે પણ ઉપરવાસમાંથી સતત 5000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
ગુજરાત સુરક્ષિત: ડેમમાં હાલ એટલો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે કે આગામી 1 વર્ષ સુધી સમગ્ર ગુજરાતને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે નર્મદા ડેમ સંપૂર્ણ સક્ષમ છે.
સરકારના આ હકારાત્મક પગલાને કારણે રાજ્યના લાખો ખેડૂતોનો મોંઘોદાટ ઉનાળુ પાક જીવતદાન મેળવશે અને ઉનાળાના આકરા દિવસોમાં પીવાના પાણીની તંગીનો સામનો પણ કરવો નહીં પડે.









