Get The App

ગુજરાતના 5 લાખ પેન્શનરો માટે ખુશખબર, હયાતીની ખરાઈ માટે બૅંક કે કચેરીમાં નહીં જવું પડે

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતના 5 લાખ પેન્શનરો માટે ખુશખબર, હયાતીની ખરાઈ માટે બૅંક કે કચેરીમાં નહીં જવું પડે 1 - image


Pensioners Life Certificate News : ગુજરાતના પેન્શનરોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર-જવરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા હયાતી(લાઇફ સર્ટિફિકેટ)ની ખરાઈ માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. હાલની પ્રક્રિયા મુજબ રાજ્યના પેન્શનરોએ હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરી અથવા બૅંકમાં જવું પડે છે. જેમાં વૃદ્ધ પેન્શનરોને શારીરિક અશક્તતાને પરિણામે અનેક મુશ્કેલીઓ અનુભવાતી હોય છે. રાજ્ય સરકાર દ્વારા આ પ્રક્રિયાને સરળ કરવા માટે હવે હયાતીની ખરાઈની સેવા પેન્શનરોને વિનામૂલ્યે તેમના ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હયાતીની ખરાઈ નિ:શુલ્ક કરવામાં આવશે

હયાતીની ખરાઈ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ભારતીય ટપાલ વિભાગ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. રાજ્યની પોસ્ટ ઑફિસ/ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બૅન્ક મારફત પેન્શનરોને આ સેવા ઉપલબ્ધ થશે. આ સેવા અંતર્ગત પેન્શનરોના ઘર-આંગણે રૂબરૂ મુલાકાત કરી હયાતીની ખરાઈ સંપૂર્ણપણે નિ:શુલ્ક કરવામાં આવશે. આ સેવા પેન્શનરોને મદદ કરવા માટે એક વધારાના વિકલ્પ તરીકે કાર્યરત કરવામાં આવી છે. હાલના હયાતીની ખરાઈના અન્ય વિકલ્પો રાબેતા મુજબ ચાલુ રહેશે.

રાજ્યના પેન્શનરો દ્વારા મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકાર દ્વારા આ મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના આશરે પાંચ લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે. 

સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કામ કરશે  ?

- પેન્શનરોને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ આપવામાં આવે છે. જેને હવે IPPBની ટીમને સંપર્ક કરવાથી અથવા તેમની પોસ્ટ બૅંકની ટીમ સામે ચાલીને દરેક પેન્શનર્સના ઘરે જશે. તેમની જોડે ઉપલબ્ધ મોબાઇલ લાઇફ સર્ટિફિકેટના સોફ્ટવેરમાં પી.પી.ઓ. નંબર, આધાર નંબર, બૅંક એકાઉન્ટ ડિટેલ , મોબાઇલ નંબર જેવા મહત્ત્વના ડેટા નાંખીને પેન્શનરની બાયોમેટ્રિક લેશે. 

-  જેના પરિણામે ગણતરીની મીનિટમાં જ પેન્શનરોના ડિજિટલ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઇશ્યુ થઈ જશે. જેની એક ડિજિટલ નકલ પેન્શન ઑફિસમાં પણ પહોંચી જશે.

-  અન્ય રાજ્યમાં રહેતા અને મૂળ ગુજરાતના પેન્શનરોને પણ આ સેવાનો લાભ મળશે, જેના માટે તેઓને નજીકના પોસ્ટ ઑફિસ કે પોસ્ટમેનનો સંપર્ક કરવાનો રહેશે. 


Tags :