સુરતના ગ્લેન્ડર રોગ, વધુ એક ઘોડાને દયામૃત્યું આપી દફનાવાયો
- જારી રહેલી તપાસમાં વધુ એક ઘોડાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો : અગાઉ છ ઘોડાને દયામૃત્યુ આપી દફનાવાયા હતા
સુરત
સુરતના લાલદરવાજા વિસ્તારમાં પશુપાલન વિભાગની ટીમ દ્વારા ચાલી રહેલ સેમ્પલની કામગીરીમાં એક ઘોડામાં ગ્લેન્ડર રોગ પોઝીટીવ આવતા જિલ્લા કલેકટરના આદેશથી દયામૃત્યુ આપવામાં આવ્યુ હતુ.
સુરત શહેરના લાલદરવાજા વિસ્તારમાં ફેબુ્રઆરી મહિનામાં ઘોડાઓમાં ગ્લેન્ડર રોગની હાથ ધરાયેલી તપાસમાં એક જ માલિકના છ ઘોડાઓમાં ગ્લેન્ડર રોગનો રિપોર્ટ પોઝીટીવ આવતા પશુપાલન વિભાગ દોડતુ થઇ ગયુ હતુ. આ રોગની ગંભીરતાને ધ્યાને લઇ સુરત કલેકટરે તે વખતે તમામ છ ઘોડાઓને દયામૃત્યુ આપવા હુકમ કરતા ઘાડાઓને પાલિકાની ડમ્પીંગ સાઇટ પર દફનાવી દેવાયા હતા.
ત્યારબાદ સુરત જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના તબીબો અને તેમની ટીમો સતત લાલદરવાજા અને અન્ય વિસ્તારોમાં ઘોડાના બ્લડ સેમ્પલ લઇ રહી હતી. જેમા લાલદરવાજા પાસે વધુ એક ઘોડામાં ગ્લેન્ડરનો રોગ મળતા દયામૃત્યુ આપવામાં આવ્યુ હતુ. બીજા ૧૪૮ ઘોડાઓના લીધેલા સેમ્પલો નેગેટીવ આવતા પશુપાલન વિભાગે રાહતના શ્વાસ લીધા છે જોકે, તપાસ ચાલુ રાખવામાં આવશે.