| AI IMAGE |
Loan Scam in Vadodara: વડોદરાના જાણીતા ગીરીરાજ ડેવલોપર્સ દ્વારા બેંક લોનમાં કરોડો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવાનો પર્દાફાશ થયો છે. રણોલી સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં 3.47 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ ગીરીરાજ ડેવલોપર્સના ભાગીદારો મૃણાલિની શાહ, મોનાર્ક શાહ સહિત કુલ 8 આરોપીઓ સામે જવાહર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરાના સમતા વિસ્તારમાં રહેતા કંદર્પ લલિત જોશી રણોલી બેંક ઓફ બરોડાની શાખામાં ક્રેડિટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમણે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે, અમારી શાખામાંથી લોનમાં વિવિધ ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ જોનલ ઓફિસ ખાતે મળી હતી. ઓડિટ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વર્ષ 2022 થી 24 દરમિયાન ગીરીરાજ ડેવલોપર્સ દ્વારા તરસાલી ખાતે બાંધકામ કરેલા પલાસ હાઈટ્સના ફ્લેટ-દુકાનો તથા બાપોદ ખાતેના રાધે ગોવિંદ ડુપ્લેક્સની દુકાન નં.14 પર થયેલી વિવિધ સી.સી. લોન અને હોમ લોનમાં ગેરરીતી થઈ છે.
શ્રી ગીરીરાજ ડેવલોપર્સ પેઢીમાં મૃણાલિની ચિરાગ શાહ, મોનાર્ક ચિરાગ શાહ અને સ્વ. મોહનીશ મુકુંદ પંડ્યા ભાગીદારી હિસ્સો ધરાવે છે. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી રણોલી બેંક ઓફ બરોડા શાખામાંથી અલગ અલગ લોન મેળવી હોય લોન ધારકો પાસેથી કુલ રૂ.3,47,88,808 જેટલી લેણી રકમ નિકળે છે. ઉક્ત ફરિયાદના આધારે જવાહર નગર પોલીસે 8 આરોપીઓ સામે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
આરોપીઓની વિગત
(1) મૃણાલી ચિરાગ શાહ
(2) મોનાર્ક ચિરાગ શાહ
(3) સ્વ. મોનીશ મુકુંદ પંડ્યા
(4) ધીરેન્દ્રસિંહ બટેશ્વરસિંહ સિંગ
(5) સ્વ. પ્રવિણસિંગ હરિસિંગ રાજપુત
(6) કેવિન કિશોર ઠક્કર
(7) શુભમ શૈલેષ ગજ્જર
(8) મનોજ નરસિંહ પટેલ
આ લોકોએ હોમ લોન લીધી
(1) કેવિન કિશોર કરકર તથા બકુલા કિશોર
(2) નિકોલસ જોસેફ મેકવાન
(3) મલ્હાર નિલેશકુમાર શર્મા
(4) ઋષિતકુમાર અશ્વિન પટેલ
(5) ઋષિતકુમાર અશ્વિન પટેલ
(6) ઋષિ કેતન ખટલાવાલા
(7) કૃણાલ જયંત સોની
(8) નિકેશ મહેશ મહેતા
(9) જીતેન્દ્ર સનત રાયથાથા
(10) વિવેક ગોપાલ શર્મા
(11) કિરણ કાળા આહિર
આ લોકોએ સી.સી. (કેશ ક્રેડિટ) લોન લીધી
(1) કેવીન કિશોર કરકર તથા બકુલા કિશોર
(2) શુભમ શૈલેષ ગજ્જર
(3) મનોજ નરસિંહ પટેલ
ગીરીરાજ ડેવલોપર્સએ પ્રોજેક્ટ લોનની ટર્મ અને કન્ડિશનનો ભંગ કર્યો
વર્ષ 2018માં ગીરીરાજ પેઢી દ્વારા સિંગ એસોસિએટના માલિક અને ડાયરેક્ટ સીલિંગ એજન્ટ તરીકેનું કામ કરતા ધીરેન્દ્રસિંહ બટેશ્વરસિંહ સિંગ સાથે મળીને પાદરા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતેથી તરસાલી ખાતે આવેલા સર્વે નં.578/579 વાડી જમીન પર રૂ.4.95 કરોડની પ્રોજેક્ટ લોન લીધી હતી અને પલાસ હાઈટ્સ નામની સાઈટ ખાતે ફ્લેટ અને દુકાનો બનાવી હતી. ગીરીરાજ ડેવલોપર્સ દ્વારા પ્રોજેક્ટ લોનની ટર્મ અને કન્ડિશનનો ભંગ કર્યો હતો. બેંકની પૂર્વ મંજૂરી કે એનઓસી વિના પલાસ હાઇટ્સના ફ્લેટ તથા દુકાનો પર રણોલીની બેંક ઓફ બરોડા શાખા હોમ લોન તથા સીસી લોન મેળવી હતી.
ઓફિસમાં કામ કરતાં કર્મચારીના નામે પણ લોન લીધી
વર્ષ 2021માં પલાસ હાઈટ્સના ફ્લેટ પર નેન્સીએ બાનાખત કરી આપતા બેન્ક ઓફ મહારાષ્ટ્ર વલણ શાખા કરજણથી લોન મેળવી હતી. ધીરેન્દ્ર સિંહને ત્યાં કામ કરતા સ્વ. પ્રવીણસિંહ રાજપુતના નામે પણ 'પલાસ હાઇટ્સ'ના ફ્લેટ પર રૂ. 18.60 લાખની લોન કરાવવામાં આવી હતી. ત્યારબાદ મૃણાલીએ લોનની રકમ ભરપાઈ કરતા બેંક દ્વારા એન.ઓ.સી. આપવામાં આવી છે.
આરોપીઓએ બોગસ કંપની ઊભી કરી સી.સી. લોન મેળવી
પલાસ હાઈટ્સની દુકાનોનો વેલ્યુએશન રિપોર્ટ બનાવી કિશોર કરકરના નામે પેરી ગ્રીન ફર્મ નામની બોગસ કંપની બનાવી રૂ.50 લાખની સી.સી. લોન મેળવી હતી. આ લોનની રકમ મૃણાલી અને મોનીશ, જાનવી ઇન્ફ્રા પેઢી અને જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરી હતી. રણોલી બ્રાન્ચ મેનેજરે ઇન્સ્પેક્શન કરતા યુનિટ બંધ હાલતમાં હોય કોઈ સ્ટોક અથવા વેપાર ચાલુ હોવાનો કોઈ પુરાવો મળી આવ્યો ન હતો. અને કેવીને લોનની રકમ ઉપયોગ ધંધામાં નહીં પરંતુ અન્ય જગ્યાએ કરી બેંક સાથે છેતરપિંડી આંચરી હતી.
પ્રોપર્ટી ખરીદવા અને રીનોવેશનના બહાને રૂ. 50 લાખની ટર્મ લોન મેળવી
પલાસ હાઈટ્સની દુકાનો ખરીદવા અને રીનોવેશન માટે એસ.કે ફર્નિચર ફર્મના ડોક્યુમેન્ટ રજૂ કરી રૂ. 50 લાખની ટર્મ લોન મેળવી હતી. તપાસમાં એસ.કે.ફર્નિચર નામની કંપનીના ડોક્યુમેન્ટ બોગસ હોવાનું બહાર આવ્યું હતું.
રાધે ગોવિંદ ડુપ્લેક્સની દુકાન પર વેપારના બહાને રૂ.50 લાખની લોન લીધી
રાધે ગોવિંદ ડુપ્લેક્સની દુકાન પર મનોજ પટેલે રાધિકા વેજીટેબલના નામે વેપાર માટે રૂ.50 લાખની સી.સી. લોન મેળવી હતી. તપાસમાં મનોજ , ધીરેન્દ્ર સિંહ તથા સ્વ. પ્રવીણસિંગે લોનની રકમનો ઉપયોગ ધંધામાં નહીં કરી અન્ય જગ્યા કરી બેંક સાથે ઠગાઈ આચરી છે.
આરોપીએ બેંકને રૂ. 2 કરોડ જમા કરવાની બાહેધરી આપી માત્ર રૂ.50 લાખ જમા કરાવ્યા
મૃણાલીએ રણોલી બેંક ઓફ બરોડાને ઓગસ્ટ 2025 સુધીમાં રૂ.2 કરોડ રૂપિયા જમા કરાવવાની બાહેધરી આપી હતી. જેમાં અત્યાર સુધી માત્ર રૂ. 50 લાખ રકમ જમા કરાવી છે. આ સમગ્ર કૌભાંડમાં બેંકનો કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણી અંગે આંતરિક તપાસ ચાલુ છે.


