Get The App

જંગલના રાજા પર સંકટ! ગીરમાં 8 સિંહના મોતથી ચિંતા, બબેસિઓસિસ થયું હોવાની આશંકા

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
જંગલના રાજા પર સંકટ! ગીરમાં 8 સિંહના મોતથી ચિંતા, બબેસિઓસિસ થયું હોવાની આશંકા 1 - image


Lion Deaths In Gir Forest: એશિયાટિક સિંહના એકમાત્ર ઘર ગણાતા ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમરેલી અને ગીર પશ્ચિમ જંગલમાં 5 સિંહના મોત થયા હતા. જ્યારે ધારી ગીર પૂર્વના ગીર ગઢડા સરહદ વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં જ 3 સિંહબાળના પણ મોત થતાં વનવિભાગ સહિત વન્યજીવ પ્રેમીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. ગાંધીનગરના પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) જયપાલસિંહે આ સમગ્ર મામલે માહિતી આપી છે. નોંધનીય છે કે, 'બબેસિઓસિસ' (Babesiosis) જેવા જીવલેણ વાઈરસથી સિંહના મોત થયાની આશંકા છે.

અગાઉ પણ 2 સિંહબાળના થયા હતા મોત 

સિંહના મોત અંગે ગાંધીનગરથી પ્રિ.સી.સી.એફ. જયપાલસિંહે વિગતો આપતા જણાવ્યું છે કે, 'અગાઉ પણ અલગ-અલગ વિસ્તારોમાં બે સિંહબાળના મોત થયા હતા. જંગલમાં સિંહ પર મંડરાઈ રહેલા રોગચાળાના ખતરાને જોતા વનવિભાગ અત્યંત સતર્ક બન્યું છે. વનવિભાગની ખાસ ટીમો દ્વારા સિંહોની સુરક્ષા અને તેમના સ્વાસ્થ્ય માટે જંગલના પ્રભાવિત વિસ્તારોમાં સતત રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ અને ટ્રેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે.'

અગાઉ પણ સિંહમાં વાઈરસ ફેલાયો હતો

ગીરના જંગલમાં સિંહોમાં આ પ્રકારે રોગચાળો ફેલાવો એ વનવિભાગ માટે મોટો ચિંતાનો વિષય છે, કારણ કે ભૂતકાળમાં પણ આવા રોગો સિંહ માટે કાળ સાબિત થયા છે. વર્ષ 2018માં ગીરની દલખાણીયા રેંજમાં સિંહમાં બબેસિઓસિસ વાઈરસ ફેલાયો હતો, જેમાં અસંખ્ય સિંહોના ટપોટપ મોત થયા હતા. વર્ષ 2020-2021માં ધારી અને ખાંભા ગીર વિસ્તારમાં આજ બબેસિઓસિસ વાઈરસના કારણે અનેક સિંહોના મોત થયા હતા.

ધારી ગીર પૂર્વમાં સ્થિતિ કાબૂમાં, 350 સિંહોનું હેલ્થ સ્ક્રીનિંગ 

બીજી તરફ, ધારી ગીર પૂર્વના ડીસીએફ (DCF) વિકાસ યાદવના જણાવ્યાનુસાર, અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં આ ચાલુ સિઝન દરમિયાન એકપણ સિંહનું મોત થયું નથી. વનવિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે અત્યાર સુધીમાં આશરે 350 જેટલા સિંહોનું સઘન નિરીક્ષણ અને તપાસ કરવામાં આવી છે, જેથી રોગચાળાને આગળ વધતો અટકાવી શકાય. હાલ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ગીરના પ્રભાવિત વિસ્તારોમાં કેમ્પ કરીને સિંહોની સ્થિતિ પર કડક નજર રાખી રહી છે.