ગિરમાં સિંહની જુગલ જોડીની વિદાય, વીરુ બાદ જયનું પણ અવસાન
Gir Lion Jay And Veeru Death : એકાદ મહિના પહેલાં સિંહ વીરુનું અને આજે સિંહ જયનું અવસાન થયા બાદ ગિરની જુગલ જોડી વિખરાઈ ગઈ છે. વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શક્યા નથી અને મૃત્યુ પામ્યા છે. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ કમનસીબે તેઓ ઇચ્છીત પરીણામ મેળવી શક્યા નહીં.
PM મોદીએ પણ તાજેતરમાં જય-વીરુની જોડીને નિહાળી હતી
અત્યંત ભારે હ્રદય સાથે વન્યજીવપ્રેમી પરિમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આજે જયના અવસાનથી ઘણું જ દુઃખ થઈ રહ્યું છે. ખૂબ જ લાંબી અને વિરતાપૂર્ણ લડાઈ બાદ, જય પણ આપણને છોડીને જતો રહ્યો. જય-વીરુની અદ્ભૂત જોડીની હાજરી જેણે માણી છે કે તેમના લગાવની વાતો સાંભળી છે તે દરેક વન્યજીવ પ્રેમી માટે આ વ્યક્તિગત ખોટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની તાજેતરની ગીર મુલાકાત દરમિયાન જય અને વીરુની રાજસ્વી જોડીને નિહાળી હતી. તેમની ગેરહાજરીમાં ગીર હવે પહેલાં જેવું નહીં રહે. લીજેન્ડ્સ વિસરાઈ જાય, પરંતુ તેમણે જ્યાં સાથે મળીને રાજ કર્યું હતું તે જંગમાં તેમના આત્માનો અવાજ સદા ગૂંજતો રહેશે.”
સિંહ જય-વીરુ કાયમ સાથે રહેતા હતા
ગીરના હ્રદયમાં, જય અને વીરુની વાતોએ તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની જોડી હિન્દી સિનેમા જગતની મશહૂર ફિલ્મ શોલેની આઇકોનિક જોડી સાથે સરખામણી પામે તેવી છે. આ ફિલ્મના પાત્રોની જેમ જ આ વાસ્તવિક જોડીએ પણ એક-મેકથી અલગ નહીં થવાની અને સદાય સાથે રહેવાની ભાવના દર્શાવતી હતી. ગીરના વન્યજીવ પ્રેમીઓ ગીરના જંગલની અજેય અને નિર્ભય જોડી જય અને વીરુના સાહસોની અનેક કથાઓ વાગોળે છે. ક્યારેક થતાં પ્રાસંગિક નાનાં-અમથાં ઝગડાઓ કે હૂંસાતૂંસીને બાદ કરતાં, તેમની જોડી અતૂટ રહી, જે તેમની એકબીજા પ્રત્યેની વફાદારીને દર્શાવે છે જેના કારણે તેઓ મલાણકા, કેનેડીપુર, નતળિયા, ઇટાડી, લીમધ્રા અને કાસીયામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી શક્યા.