Gujarat

ચૈત્રી નવરાત્રિ : સવારે શુભ મૂહુર્તે માતાજીનાં મંદિરમાં ઘટસ્થાપન થશે

By GS TEAM
18 Mar 20262 mins read
ચૈત્રી નવરાત્રિ : સવારે શુભ મૂહુર્તે માતાજીનાં મંદિરમાં ઘટસ્થાપન થશે

આજથી માતાજીની આરાધનાનું પર્વ ચૈત્રી નવરાત્રી : માતાજી સન્મુખ અનુષ્ઠાન, બેઠા ગરબા, નકોરડા ઉપવાસ, અષ્ટમીના દિવસે હવન સહિતનું આયોજન

જૂનાગઢ, : આવતીકાલે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે. સવારે શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન કરાશે. નવ દિવસ સુધી સંતો-મહંતો, ભાવિકો માતાજી સન્મુખ  અનુાન કરશે. બેઠા ગરબા સહિતના કાર્યક્રમમાં ભક્તો લીન બનશે. આજે અંતિમ ઘડી સુધી બજારમાં ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીના ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ વિસ્તારોમાં આવેલ દેવી મંદિરોમાં ચૈત્રી નવરાત્રી ઉજવણીની તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. ગિરનારની ટોચ પર બિરાજમાન અંબાજી મંદિર, વાઘેશ્વરી માતાજી, ગાયત્રી મંદિર, અંબા માતાજી મંદિર, બહુચર માતાજી મંદિર, હિંગળાજ માતાજી, ખોડિયાર મંદિર, નાગર રોડ, અંબાઈ ફળિયા વિસ્તારમાં નાગર પરિવાર દ્વારા માતાજીના બેઠક સ્થાન પર બેઠા ગરબા ઉપરાંત મંદિરોમાં માતાજી સન્મુખ અનુષ્ઠાન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. સંતો મહંતો દ્વારા ચૈત્રી નવરાત્રીના દિવસો દરમ્યાન ખાસ આશ્રમ પરિસરમાં જ પૂજા અર્ચન અને અનુષ્ઠાન દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. અનુષ્ઠાન દરમ્યાન સંતો મહંતો, પૂજારી દ્વારા ચૈત્રી નવરાત્રીના દિવસો દરમ્યાન ગર્ભ ગૃહની બહાર પણ આવતા નથી. તો માઈ ભક્તો દ્વારા ખાસ નકોરડા ઉપવાસ દ્વારા પણ માતાજીની આરાધના કરાશે. આવતીકાલે સવારે શુભ મુહૂર્તમાં મંદિરમાં ઘટ સ્થાપન કરાશે. માતાજીને વિશેષ શૃંગાર, આરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. દેવી મંદિરોને રોશનીનો શણગાર કરાયો છે. અખંડ દીવો, અખંડ પાઠ સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત અષ્ટમીના દિવસે યજ્ઞા અને સાંજે બીડું હોમવામાં આવશે.