Get The App

ગેનીબહેન ઠાકોર ગળાડૂબ પાણીમાં ઉતરી કરી પરિસ્થિતિની સમીક્ષા, CM પાસે રૂ. 1000 કરોડની સહાય માંગી

Updated: Sep 12th, 2025

GS TEAM

Google News
Google News
ગેનીબહેન ઠાકોર ગળાડૂબ પાણીમાં ઉતરી કરી પરિસ્થિતિની સમીક્ષા, CM પાસે રૂ. 1000 કરોડની સહાય માંગી 1 - image

Geniben Thakor: બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી તારાજી બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબહેન ઠાકોરે ગળાડૂબ પાણીમાં ઉતરીને અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. તેમણે ખાસ કરીને વાવ તાલુકાના મોરીખા ગામની મુલાકાત લીધી, જે વારંવાર વરસાદી પાણીથી ડૂબી જાય છે. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકોની મુશ્કેલીઓ જાણી અને તાત્કાલિક રાહત કાર્યની માંગ કરી હતી. 

પાણી વચ્ચે ચાલીને સ્થળ નિરીક્ષણ

સાંસદ ગેનીબહેન ઠાકોર, કે. પી. ગઢવી સહિત કોંગ્રેસના આગેવાનોએ મોરીખા ગામમાં પાણી ભરાઈ જવાને કારણે સર્જાયેલી ભયાનક પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા માટે પાંચ ફૂટ ઊંડા પાણીમાં ચાલીને પહોંચ્યા હતા. ગામના યુવાનો અને સરપંચ સાથે મળીને તેમણે શિવ મંદિરની પાછળની દીવાલ તોડીને પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા માટે સ્થળ પર જ યુવાનોને જવાબદારી સોંપી હતી. તેમણે જણાવ્યું કે, જેસીબી કે અન્ય મશીનરી જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી આ પગલું ભરવું પડ્યું છે. ગેનીબહેને આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં મીડિયા કે વહીવટી તંત્રએ આ ગામની મુલાકાત લીધી નથી.

ગેનીબહેન ઠાકોર ગળાડૂબ પાણીમાં ઉતરી કરી પરિસ્થિતિની સમીક્ષા, CM પાસે રૂ. 1000 કરોડની સહાય માંગી 2 - image

મુખ્યમંત્રી પાસે સહાયની માંગ

સુઈગામ પ્રાંત કચેરી ખાતે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને સાંસદ ગેનીબહેન ઠાકોરે બનાસકાંઠામાં વરસાદથી થયેલી તારાજી માટે રૂપિયા 1000 કરોડના સહાય પેકેજની માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે મુખ્યમંત્રીના આવવાથી જ વહીવટી તંત્ર સક્રિય થયું છે, જ્યારે તારાજીની સ્થિતિમાં તંત્ર કામગીરી કરવામાં નિષ્ફળ ગયું છે.
ગેનીબહેન ઠાકોર ગળાડૂબ પાણીમાં ઉતરી કરી પરિસ્થિતિની સમીક્ષા, CM પાસે રૂ. 1000 કરોડની સહાય માંગી 3 - image

મંત્રી જગદીશ વિશ્વકર્માનો પ્રહાર

આ મુલાકાત અગાઉ બનાસકાંઠામાં પૂરની સ્થિતિ સમયે ગેનીબહેન ઠાકોર ગેરહાજર હોવાથી મંત્રી જગદીશ વિશ્વકર્માએ તેમના પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગેનીબહેન બનાસકાંઠાના બદલે સોમનાથ ગયા છે અને તેમને બનાસવાસીઓની ચિંતા નથી, પરંતુ કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે. આ ઘટનાને દુઃખદ ગણાવીને તેમણે કહ્યું કે બનાસની જનતા આ ઘટનાને ક્યારેય ભૂલશે નહીં.