જમાલપુરમાં કાચની મસ્જિદના કાઝીએ બાળ લગ્ન કરાવ્યો ગુનો નોંધાયો
અરજીને આધારે તપાસ કરતા સમગ્ર ભાંડો ફુટયો
બે સગા ભાઇઓએ તેના ૧૯ વર્ષના દીકરા અને ૧૪ વર્ષની દીકરીના નિકાહ કરાવ્યાઃ સાત આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ
અમદાવાદ,બુધવાર
જમાલપુરમાં આવેલી કાચની મસ્જિદના કાઝીએ ૧૯ વર્ષના યુવક અને ૧૪ વર્ષની સગીરના નિકાહ કરાવ્યાની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ અનુસંધાનમાં પોલીસે સાત શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
ગાયકવાડ હવેલી પોલીસને એક નનામી અરજી મળી હતી જેમાં જણાવવામાં આવ્યું હતુ કે જમાલપુર કાચની મસ્જિદ પાસે કોટની રાંગમાં રહેતા એક વ્યક્તિએ તેના ૧૯ વર્ષના પુત્રના નિકાહ તેના સગા ભાઇની ૧૪ વર્ષની દીકરી સાથે કરાવ્યા છે. આ નિકાહ કાચની મસ્જિદના કાઝી જમાલુદ્દીન સિદ્દીકીએ કરાવ્યા હતા. આ અંગે પોલીસે તપાસ શરૂ કરતા નિકાહનામાની વિગતો અને સગીરાની ઉમર ૧૪ વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ મામલે ગુનો બનતા હોવાથી ગાયકવાડ હવેલી પોલીસે નિકાહ કરાવનાર માતા પિતા, સાક્ષી અને કાઝી સહિત કુલ સાત વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.