Gujarat

વડોદરાઃલસુન્દ્રા ગામે કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થી લોકોને આંખ-ગળામાં બળતરા,શ્વાસમાં તકલીફઃ ભારે ગભરાટ

By GS TEAM
12 Mar 20262 mins read
વડોદરાઃલસુન્દ્રા ગામે કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થી લોકોને આંખ-ગળામાં બળતરા,શ્વાસમાં તકલીફઃ ભારે ગભરાટ

વડોદરાઃ વડોદરા નજીકના લસુન્દ્રા રોડ પરની પેટ્રો કેમિકલ નામની કંપનીમાં વહેલી સવારે ગેસ લીકેજ થયા બાદ સાંજે આગ ભભૂકી ઉઠતાં ભારે દોડધામના દ્શ્યો સર્જાયા હતા અને દિવસભર તાલુકાનું વહીવટી તંત્ર આ કેમિકલ લીકેજની અસરને કારણે દોડતું રહ્યું હતું

સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે પેટ્રો પ્રોડક્ટનું ઉત્પાદન કરતી શાર્પ પેટ્રો કેમિકલ કંપની હાલ બંધ હાલતમાં છે.પરંતુ કંપનીમાં વિવિધ કેમિકલોના બેરલો-ટાંકીઓમાં સંગ્રહ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.આ કંપનીમાં ક્યારેક પ્રોડક્શન પણ કરવામાં આવતું હોવાની ચર્ચા છે.

આજે સવારે કંપનીમાં કોઈ ઉત્પાદનની પ્રક્રિયા વેળાએ ગેસ લીકેજ થયો હતો તેના પગલે આજુબાજુના વિસ્તારોમાં લોકોએ ગળા, આંખમાં બળતરા અને શ્વાસમાં તકલીફ થતાં ગભરાટના દ્શ્યો સર્જાયા હતા.બનાવને પગલે કંપનીમાં હાજર કામદારો દ્વારા પાણી, રેતી અને કોથળા નાખીને ગેસ લીકેજને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ તબક્કે મંજૂસર પોલીસ પણ દોડી આવી હતી અને ફાયરબ્રિગેડ,ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જીપીસીબી ની તેમનો સંપર્ક કરીને તેઓને કંપની ખાતે બોલાવી લીધા હતા.ઉપરોક્ત વિભાગોની ટીમોએ ગેસ લીકેજનું મુખ્ય કારણ તેમજ કંપનીમાં વપરાતા કેમિકલો મુદ્દે તપાસ હાથ ધરી હતી.તેવામાં નમતી બપોરે અચાનક કંપનીમાં આગ ભભૂકી ઉઠતાં ફરી નાસભાગ મચી હતી.આખા દિવસ દરમિયાન વહીવટી અધિકારીઓએ દોડધામ કરી હતી.પરંતુ કંપનીના સંચાલકો ક્યાંય ફરક્યા નહતા.સ્થિતિ કાબૂમાં આવતાં અધિકારીઓએ કંપનીની અંદરના કેમિકલોની તપાસ હાથ ધરી છે.

કંપની બંધ હોવા છતાં રાત્રિના સમયે પ્રોડક્શન ચાલુ રહેતું હતું

શાર્પ પેટ્રોકેમ કંપની જીપીસીબી વિભાગના દફતરે બંધ બતાવવામાં આવી રહી છે,તેમ છતાં આશ્ચર્યજનક રીતે આ કંપની રાત્રે ધમધમતી હતી.આ ઉપરાંત કંપનીમાં વિવિધ કેમિકલો સ્ટોર થતા હોવા છતાં તંત્રનું કેમ ધ્યાન ન ગયું તે પણ તપાસનો વિષય બન્યો છે.ઉપરોક્ત કારણસર કંપનીમાંથી વારેઘડીએ ગેસ લીકેજ અને આગના બનાવો બનતા હોવાના આસપાસની કંપનીના કામદારોએ આક્ષેપ કર્યા હતા.આમ,માનવ સ્વાસ્થય સાથે ચેડાં કરવાની ગંભીર ઘટના અંગે તંત્રની ચૂપી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અગાઉ પણ ગેસ લીકેજને કારણે ગામ ખાલી કરવાની તૈયારી કરાઇ હતી

બે વર્ષ અગાઉ પણ શાર્પ કંપનીમાં રાત્રિના સમયે ગેસ લીકેજ થયો હતો તેના પગલે આજુબાજુની કંપનીઓ ના કામદારોને છોડી મૂકવામાં આવ્યા હતા. જો ગેસ પર કાબૂ ના મેળવી શક્યા હોત તો લસુન્દ્રા ગામને ખાલી કરવાનો નિર્ણય પણ તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો.આમ ઉપરોક્ત કંપનીમાં મોટા પ્રમાણમાં સ્ફોટક કેમિકલો સંગ્રહ કરવામાં આવ્યા હોવાથી તેમાં સ્ટોરેજ અંગેના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ,કોના આશીર્વાદથી કંપની પાછલા બારણે પ્રોડક્શન કરી રહી છે..જેવી બાબતોની ગંભીરતા પૂર્વક તપાસ કરવામાં આવે તેવી લોકોની માગણી છે.