Gujarat

ગારિયાધાર શહેરની મેઈન બજારમાં સફાઇના અભાવે ગંદકીના થર જામ્યા

By GS TEAM
10 May 20261 min read
ગારિયાધાર શહેરની મેઈન બજારમાં સફાઇના અભાવે ગંદકીના થર જામ્યા

સ્થાનિક તંત્રવાહકોની લુલી કામગીરીથી

દાડમિયાવાડી, સુખનાથ અને વાવ પ્લોટ વિસ્તારમાં પણ નીયમીત સફાઈનો અભાવ

ગારિયાધાર - છેલ્લા એક માસથી ગારિયાધાર શહેરનું મેઈન બજાર નીયમીત સફાઈના અભાવે ગંદકીથી ખદબદી રહ્યુ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્ક્રિયતા ઉપરાંત સ્થાનિક તંત્રવાહકોની લુલી કામગીરીથી સ્થાનિક રહિશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ગારિયાધાર શહેરમાં નગરપાલિકાના કર્મચારીઓની સફાઈના મામલે ભારે નિરસતાને લઈને મુખ્ય બજાર ઉપરાંત વિવિધ રહેણાંકીય વસાહતોમાં નીયમીતપણે સફાઈકાર્ય હાથ ન ધરવામાં આવતા ચોતરફ ગંદકીના ઢગલા ખડકાઈ રહ્યા છે. અહિંના આશ્રમ રોડ ઉપર આવેલા નગરપાલિકાના પાર્કિંગમાં છેલ્લા ચાર માસથી કોઈપણ પ્રકારની સાફસફાઈ તંત્ર દ્વારા કરવામાં ન આવતા સમગ્ર પાર્કિંગમાં કચરાના ઢગલાઓ થવા પામ્યા છે. આ ઉપરાંત દાડમિયાવાડી, સુખનાથ બગીચો, વાવ પ્લોટ તેમજ સાર્વજનિક કોમન વિસ્તાર સહિતની અનેક જગ્યાઓ પર પણ આ જ સમસ્યા છે.આ અંગે પેધી ગયેલા તંત્ર દ્વારા દરકાર લેવાતી નથી. જેના કારણે અત્રે વ્યાપક પ્રમાણમાં માથુ ફાટી જાય તેવી ગંદકીના થર જામવા લાગ્યા છે.આ ગંભીર બાબતે સ્થાનિકો દ્વારા રજુઆતો અને ફરીયાદો કરાઈ રહી છે તેમ છતાં તંત્રવાહકો આંખ આડા કાન કરી રહ્યા છે.તંત્ર  દ્વારા લોકોની સુખાકાર માટે ઘટતી કાર્યવાહી હાથ ધરે તેવુ રહિશો ઈચ્છી રહ્યા છે.