સુરત શહેરના અનેક રસ્તાઓ પર કચરાના ઢગલાનું સામ્રાજ્ય, સ્વચ્છતામાં નંબર વનનું બિરુદ જોખમી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં સૌથી વધુ માર્કસ મેળવી પહેલા નંબરે આવનારા સુરત શહેરમાં હાલ અનેક જગ્યાએ કચરાના ઉકરડા જોવા મળી રહ્યા છે. પાલિકાની નબળી કામગીરી અને સુરતીઓ પણ જાહેર રસ્તા પર કચરો ઠાલવી શહેરની સુંદરતાને ઓછી કરી રહ્યા છે. સુરતીઓ અને સુરત પાલિકાની નબળી કામગીરીને કારણે હવે સુરતની સ્વચ્છતામાં નંબર વનનું બિરુદ જોખમી બની શકે છે. આ કચરાના ઢગ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ઓછા વાહનો તથા ટ્રાન્સફર સ્ટેશન પર વાહનોની લાંબી લાઈન જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે.
દેશના નંબર વન શહેર સુરતને દિવાળી પહેલાથી સ્વચ્છતાનું ગ્રહણ લાગી રહ્યું છે સુરતીઓએ દિવાળીની સફાઈ કરવા સાથે ગાર્ડનની સફાઈ કરી હતી તે કચરો રોડ પર ઠાલવ્યો હતો. ત્યારબાદ પાલિકાએ સફાઈ કરી હતી પરંતુ ટાંચા સાધનો અને રોજ મોટી માત્રામાં કચરો રોડ પર ઠલવાતો હોવાથી સુરતની સુંદરતા ઘટી રહી છે. શહેરના અનેક વિસ્તારો કચરાના ઢગ ઉકરડો બની ગયા છે અને હાલ પડી રહેલા વરસાદના કારણે આસપાસના લોકોની હાલત કફોડી થઈ રહી છે.
સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન વાહનો મોડા આવતા હોવા કે ન આવતા હોવાની વ્યાપક ફરિયાદ છે. પાલિકાએ વર્ષ 2021માં 19 લાખ જેટલા ઘર માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી શરુ કરી હતી. જેના માટે 554 વાહનો ખરીદવામાં આવ્યા હતા. જોકે, હાલમાં સુરતના મિલ્કતની સંખ્યા વધીને 24 લાખ કરતા વધુ થઈ ગઈ છે તેની સામે વાહનોની સંખ્યા માત્ર 69 વધારીને 623 કરવામા આવી છે જે ઘણી જ ઓછી છે.
આમ વાહનોની સંખ્યા ઓછી અને નબળી કામગીરીને પગલે શહેરના અનેક વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યું છે તે સુરતની સુંદરતાને ઘટાડી રહ્યા છે.








