વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન કૃત્રિમ તળાવમાં મગર દેખાતા ભયનો માહોલ
Vadodara : વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવનું ધામધૂમપૂર્વક સમાપન થઈ રહ્યું છે, ત્યારે ગણેશ વિસર્જન યાત્રાઓનો પણ પ્રારંભ થઈ ગયો છે. ભક્તો ગણેશજીને વિદાય આપવા માટે મોટી સંખ્યામાં પાલિકાના કૃત્રિમ તળાવો પર પહોંચી રહ્યા છે, પરંતુ આ વખતે કૃત્રિમ તળાવોમાં મગર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
આજે સવારે, હરણી-સમા લિંક રોડ પર આવેલા કોર્પોરેશનના કૃત્રિમ તળાવમાં બે નાના મગર નજરે પડ્યા હતા, જેના કારણે ત્યાં વિસર્જન માટે આવેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટના ત્રણ દિવસ પહેલાં નવલખી કૃત્રિમ તળાવમાં સાપ દેખાયા બાદ સામે આવી છે. આસપાસના વિસ્તારના લોકોએ તાત્કાલિક વન વિભાગ અને જીવદયા કાર્યકરોને જાણ કરી હતી. હાલ, બંને મગરને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ત્રણ દિવસમાં ચાર મગરોનું રેસ્ક્યુ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહથી વડોદરામાં થઈ રહેલા ભારે વરસાદને કારણે જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે મગરો તેમના કુદરતી રહેઠાણોમાંથી બહાર નીકળી શહેરી વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં વન વિભાગ દ્વારા ચાર જેટલા મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ભક્તોને સાવચેતી રાખવા સૂચના
આ સંજોગોમાં, ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ પર જતા ભક્તોને સાવચેતી રાખવા અને તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આ ઘટનાએ શહેરમાં માનવ અને વન્યજીવનના સંઘર્ષની સમસ્યાને ફરી એકવાર ઉજાગર કરી છે.