Get The App

વડોદરા શ્રીજીના આતિથ્ય માટે સજ્જ , આજથી ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ

૧૯૮૦ યુવક અને સામાજિક મંડળો મળીને શહેરમાં આશરે ૫૦૦૦થી વધુ સ્થળે શ્રીજી પ્રતિમાઓની સ્થાપના ઃ ૪ કૃત્રિમ મળીને કુલ ૩૧ તળાવોમાં વિર્સજન થશે

Updated: Sep 12th, 2018

GS TEAM


Google News
Google News
વડોદરા શ્રીજીના આતિથ્ય માટે સજ્જ , આજથી ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ 1 - image
વડોદરામાં સુભાનપુરા વિસ્તારમાં બ્રધર્સ ગ્રુપના શ્રી મંગલનાથ ગણપતિનું આગમન થયુ હતું
વડોદરા,તા.૧૨ સપ્ટેમ્બર બુધવાર

શહેરમાં ગુરૃવારથી 'ગણેશોત્સવ'નો વિધીવત પ્રારંભ થઇ રહ્યો છે. વિઘ્નહર્તા દુંદાળા દેવ ભગવાન શ્રી ગણેશ કાલથી વડોદરામાં ૧૦  દિવસની મહેમાનગતી માણશે. વડોદરામાં ૧૯૮૦ યુવક મંડળો અને સામાજિક મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે જો કે નાના મોટા મંડળો અને પરંપરાગત રીતે ઘર સોસાયટીઓમાં ૧૦ દિવસ માટે સ્થપાતા શ્રીજી મળીને આશરે ૫૦૦૦થી વધુ સ્થળોએ ગણેશોત્સવની ઉજવણી થશે.

છેલ્લા પાંચ છ વર્ષથી પર્યાવરણ નુકસાન કરતી પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાઓ પર પ્રતિબંધ માટે જન જાગૃતિના પ્રયાસો અને વિર્સજન સમયે કુદરતી જળાશયોમાં પીઓપીની પ્રતિમાઓનું વિર્સન ના થાય તેવા પ્રયત્નોના કારણે આ વખતે ૧૦ ફૂટની ઉંચી પ્રતિમાઓને બાદ કરતા મોટા ભાગની નાની મૂર્તિઓ માટીની તૈયાર કરવામાં આવી છે ઉપરાંત સૂરસાગર સહિતના તળાવમાં આ વર્ષે વિર્સજન નહી કરવાનો નિર્ણય કરાયો છે.

આમ તો શ્રીજીની આગમન યાત્રાઓ એક સપ્તાહથી ચાલુ થઇ ગઇ છે. ગણેશજીની મૂર્તિઓ સાથે મંડપમાં થીમ આધારીત ડેકોરેશનની પરંપરા પણ ચાલુ થઇ છે અને આ માટે મુવિંગ ડેકોરેશન, સાઉન્ડ એન્ડ લાઇટ ઇફેક્ટ, ડિઝીટલ ઇફેક્ટ જેવા વિવિધ પ્રકારે મંડપોમાં તૈયારી થતી હોય છે એટલે પ્રતિમાં અગાઉથી જ લાવીને ડેકોરેશન સાથે ગોઠવણ કરવાની હોવાથી એક સપ્તાહ પહેલા જ આગમન યાત્રાની શરૃઆત થઇ જાય છે અને હવે તો વિર્સજન યાત્રામાં થાય છે તે કરતા બમણો ખર્ચ આગમન યાત્રામાં ડી.જે., લાઇટિંગ, આતશબાજીઓ માટે થઇ રહ્યો છે.

જ્યારે વિર્સજન માટે ૩જા દિવસે, સાતમાં દિવસે અને છેલ્લે ૧૦માં દિવસે વિર્સજનની પરંપરા છે. શહેરમાં આ વર્ષે ૩જા દિવસે મોટાભાગે ઘર સોસાયટીમાં સ્થાપિત થતી ૫૦૦થી વધુ નાની પ્રતિમાઓનું વિર્સજન થશે. ૭માં દિવસે ૨૦૦થી વધુ પ્રતિમાઓનું વિર્સજન થશે જ્યારે ૧૦માં દિવસે આશરે ૪૦૦૦થી વધુ પ્રતિમાઓનું વિર્સજન થશે.

તંત્રએ વિર્સજન માટે ૪ કૃત્રિમ તળાવો તૈયાર કર્યા છે આ ઉપરાંત ૨૭ તળાવોમાં વિર્સજન માટે મંજૂરી અપાઇ હોવાથી શહેરમાં કુલ ૩૧ સ્થળોએ આ વખતે વિર્સજન થશે.

Tags :