અમદાવાદના શાહીબાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો ગાંધીનગરમાં નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
Gandhinagar Crime News: ગાંધીનગરના સેક્ટર 24 ખાતે આવેલા પાઠ્યપુસ્તક એપાર્ટમેન્ટમાંથી 25 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક રિંકલ વણઝારા અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. યુવતીના શરીર પર ઈજાના નિશાન હોવાથી પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રિંકલ વણઝારા ગઈકાલે (29 સપ્ટેમ્બર, 2025) રાત્રે લગભગ 9:30 વાગ્યાની આસપાસ પોતાના એક્ટિવા પર ઘરે આવ્યા હતા. મોડી રાત્રે તેમના ભાઈ-ભાભીએ ફોન કર્યો પરંતુ રિંકલે ફોન ન ઉપાડતા તેમણે પાડોશીને જાણ કરી. પાડોશીએ તપાસ કરતા ઘરનો દરવાજો બંધ હતો. દરવાજો ખોલીને અંદર જોતા રિંકલ બેભાન અને નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. SP સહિતના ઉચ્ચ અધિકારીઓ અને જુદી જુદી ટીમોએ તપાસ શરૂ કરી છે. પોલીસે પંચનામું કરી આસપાસના પાડોશીઓના નિવેદનો લીધા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ સાથે જ FSLની મદદથી પણ તપાસ ચાલી રહી છે. યુવતીના મૃતદેહ પર ઈજાના નિશાન હોવાથી પોલીસે હત્યાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ પોલીસ બેડામાં પણ શોક માહોલ છવાયો છે.