માજી સૈનિકોની મહારેલીને પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ઃ ૧૫૦થી વધુની અટકાયત

છેલ્લા ૨૩ દિવસથી સત્યાગ્રહ છાવણીમાં આંદોલન ઉપર રહેલા
પ્રવેશદ્વારો ઉપર પોલીસ જવાનો ખડકી દેવાયા ઃ પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ ઃ પોલીસ સાથે ઘર્ષણના પણ દ્રશ્યો
રાજ્યમાંથી આવેલા માજી સૈનિકો તેમની પડતર માંગણીઓને લઈ
ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ઉપર આંદોલન ઉપર બેઠા છે. સરકારી ભરતીમાં માજી સૈનિકો
માટે અલગથી અનામત બેઠકની માંગણી કરવામાં આવી છે અને અન્ય કોઈ કેટેગરીમાં તેમનો
સમાવેશ નહીં કરવા માટે સરકારને અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સરકાર તરફથી કોઈ
જ પ્રત્યુતર આપવામાં આવ્યો નથી. છેલ્લા ૨૩ દિવસથી સત્યાગ્રહ છાવણી ઉપર બેઠેલા આ
માજી સૈનિકોની ધીરજ ખૂટી પડી હતી અને ૧૯ ઓગસ્ટના રોજ મહારેલીની જાહેરાત કરવામાં
આવી હતી. જોકે પોલીસ કે તંત્ર દ્વારા આ રેલીને કોઈ જ મંજૂરી આપવામાં આવી ન હતી.
જેના પગલે આજે સવારથી ગાંધીનગરના પ્રવેશદ્વારો ઉપર સઘન સલામતી બંદોબસ્ત ગોઠવી
દેવામાં આવ્યો હતો અને શહેરમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હતું.
જેમાં માજી સૈનિકો બેઠા હોય તેવા વાહનો રોકીને તેમની અટકાયત
કરી લેવામાં આવી હતી. માજી સૈનિક મંડળના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતની પોલીસે અટકાયત
કરી લેતા આ જવાનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. જેના પગલે ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ જવાના
માર્ગ ઉપર જવાનો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવતા કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો
હતો. આ ઘટનાને પગલે ગાંધીનગર પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી અને શાહપુર બ્રિજ પાસે
નાકાબંધી કરી દીધી હતી અને ગાંધીનગરમાં જવાનો પ્રવેશી ન જાય તે માટે અહીં પોલીસનો
મોટો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં ખાનગી વાહનોમાં આવી રહેલા આ માજી
સૈનિકોની અટકાયત કરવામાં આવી હતી. સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સાંજ સુધીમાં
પોલીસ દ્વારા ૧૫૦થી વધુ માજી સૈનિકોની અટકાયત કરવામાં આવી હતી. જોકે પોલીસ દ્વારા
જ્યારે અટકાયત કરવામાં આવી ત્યારે અલગ અલગ સ્થળોએ ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા
હતા.
સચિવાલયના પણ દરવાજા ઉપર લોખંડી પહેરો ગોઠવાયો
માજી સૈનિકો દ્વારા સચિવાલય સુધી મહારેલીની જાહેરાત કરવામાં
આવી હતી. જેના પગલે પોલીસે ગેટ નંબર એક ઉપર પણ લોખંડી પોલીસ પહેરો ગોઠવી દીધો હતો
અને સચિવાલયમાં પ્રવેશતા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરીને જ પ્રવેશ આપવામાં આવતો હતો.
જોકે સાંજ સુધીમાં આ રેલીને સફળતા નહીં મળતા પોલીસે હાસકારો અનુભવ્યો હતો.









