ગાંધીનગરના કોબા સર્કલ પાસે ભેખડ ધસી પડતાં 3 શ્રમિકો દટાયા, એકનું મોત, બે ઇજાગ્રસ્ત
Building collapse Near Gandhinagar: હાલમાં વરસાદની સિઝન ચાલી રહી છે. ત્યારે અવાર-નવાર નિર્માણધીન સાઇટ પર દિવાલ અને માટી ધસી પડવા અને જર્જરિત ઇમારતો તૂટી પડવાના બનાવો વધી રહ્યા છે. આજે ગાંધીનગરના કોબા સર્કલ નજીક કમલમ પાસે નિર્માણાધીન બિલ્ડિંગની ભેખડ ધરાશાયી થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
કમલમ પાસે શ્રીજી એરીશ નામની નિર્માણાધીન બિલ્ડિંગની ભેખડ ધરાશાયી થતાં ત્રણ શ્રમિકો દટાયા છે. જે પૈકી એક શ્રમિકનું મોત નીપજ્યાંની માહિતી મળી છે. મૃતકનું અજય પરમાર તરીકે જાણવા મળ્યું છે તે ડુંગરપુર રાજસ્થાનનો રહેવાશી છે જ્યારે ઈજાગ્રસ્તોમાં નટવર ડામોર અને ચિરાગ ડામોરનો સમાવેશ થાય છે. આ બંને પણ રાજસ્થાનના ડુંગરપુરના જ વતની છે.
ગઇકાલે અમદાવાદમાં જર્જરિત ફ્લેટનો ભાગ થયો હતો ધરાશાયી
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વરસાદી વાતાવરણની વચ્ચે દૂધેશ્વર વિસ્તારમાં આવેલી ધર્મિ સોસાયટીના એક ફલેટમાં મંગળવારે ધાબા ઉપરાંત સીડી તથા જર્જરીત ઈમારતનો કેટલોક ભાગ પણ ધરાશાયી થયો હતો.આ ઘટનાને પગલે રહીશોના જીવ ઉચાટમાં મુકાયા હતા. સીડી તૂટી પડતા બીજા માળના રહીશો તેમના ઘરમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતા એક કલાકની જહેમત પછી 9 મહિનાના બાળક સહિત કુલ 16 લોકોને વિભાગ દ્વારા સલામત નીચે ઉતારી લેવામાં આવતા તમામનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
રથયાત્રાના રૂટ ઉપર 513 ભયજનક મકાન અંગે નોટિસ અપાઈ
27 જૂન નીકળનારી પરંપરાગત રથયાત્રા અગાઉ રથયાત્રાના રૂટ ઉપર ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર જેવા વિસ્તાર ઉપરાંત સરસપુર વિસ્તારમાં આવેલા ભયજનક મકાન અને તેના ભયજનક ભાગનો સર્વે કરી કુલ 513 ભયજનક મકાન ઉતારી લેવા માટે એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
ટી.પી.કમિટી ચેરમેન પ્રિતીશ મહેતાએ કહયું, બંને ઝોનમાં 1308 મકાનને ચેતવણી નોટિસ અપાઈ છે. આ મકાનમાં કયાંક ગેલેરી તો કયાંક ધાબાનો ભાગ ભયજનક છે. આવા મકાનમાં વધુ લોકોએ ભેગા નહીં થવાની ચેતવણી આપતી નોટિસ અપાઈ છે. આ ઉપરાંત ભયજનક મકાન પૈકી 190 મકાનના પાણી અને ગટરના જોડાણ કાપી નાંખવામાં આવ્યા છે.