Get The App

રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસને પગલે ગાંધીનગર આરોગ્ય તંત્ર એલર્ટ

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસને પગલે ગાંધીનગર આરોગ્ય તંત્ર એલર્ટ 1 - image


સાત કેસ અમદાવાદમાંથી પ્રકાશમાં આવવાની સાથે

નવા વેરિયન્ટનો અભ્યાસ જરૃરીઃવિદેશથી આવતા પ્રવાસીઓને લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવવા સુચન

ગાંધીનગર :  દેશ દુનિયામાં હાહાકાર માચાવનાર કોરોનાએ નવા વેરિયન્ટ જેએન-વનના સ્વરૃપમાં ફરી દસ્તક દીધી છે. અમદાવાદમાં આજે નવા સાત કેસ પ્રકાશમાં આવ્યા છે ત્યારે અમદાવાદને અડીને આવેલા ગાંધીનગરમાં પણ આરોગ્ય તંત્રને સજાગ કરવામાં આવ્યું છે. અહીં ખાસ કરીને કોરોના સંક્રમિત દેશોમાંથી આવતા પ્રવાસીઓને લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા સલાહ આપવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ જેએન વનફરી ચિંતાનું કારણ બન્યો છે. અમદાવાદમાં આ વેરિયન્ટના સાત નવા કેસ નોંધાતા રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. આ નવા વેરિયન્ટના લીધે ગાંધીનગર શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લેવાનું શરૃ કર્યું છે. તાવ, શરદી, ઉધરસ અને કફ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓને લેબોરેટરી ટેસ્ટ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, આરોગ્ય વિભાગે જરૃરી દવાઓનો સ્ટોક, તબીબોને તાલીમ, માર્ગદર્શન અને વોર્ડમાં પૂરતી વ્યવસ્થા સહિતની તૈયારીઓ પણ શરૃ કરી દીધી છે. ઉચ્ચ સ્તરેથી આદેશ આપવામાં આવ્યા છે કે, તમામ આરોગ્ય કર્મચારીઓએ સતત સજાગ રહેવું.

આ નવા વેરિયન્ટને લઈને નિષ્ણાતોનું કહેવું છે કે, તે ઝડપથી ફેલાઈ શકે છે, જોકે તેની ગંભીરતા હજુ સ્પષ્ટ થઈ નથી. અમદાવાદમાં નોંધાયેલા આ સાત કેસમાંથી મોટાભાગના દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે અને તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. આરોગ્ય વિભાગે લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને ભીડવાળી જગ્યાઓ ટાળવાની અપીલ કરી છે. ખાસ કરીને, વિદેશ પ્રવાસથી પરત ફરેલા લોકોને લક્ષણો દેખાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા કહેવાયું છે. રાજ્ય સરકારે કેન્દ્રની ગાઈડલાઈન્સનું પાલન કરવા અને જરૃર પડે તો વધુ પગલાં લેવાની તૈયારી દર્શાવી છે. આ સ્થિતિમાં લોકોને ગભરાવાની નહીં, પરંતુ સાવચેતી રાખવાની સલાહ પણ તબીબો દ્વારા આપવામાં આવી છે.

Tags :