ગાંધીનગર: 4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને અંતિમ શ્વાસ સુધી જેલની સજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar News: ગાંધીનગરના સેક્ટર-24માં આવેલી ઇન્દિરા નગર છાપરા વિસ્તારની 4 વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા ઘાતકી દુષ્કર્મના કેસમાં અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના પાપી આરોપી રામનીત દેવનંદન રામરૂપ યાદવને દોષિત ઠેરવીને તેના જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા એટલે કે આજીવન કારાવાસની કડક સજા ફટકારી છે. આ ઉપરાંત, કોર્ટે પીડિત બાળકીને 10 લાખ રૂપિયાનું આર્થિક વળતર ચૂકવવાનો પણ વહીવટી આદેશ આપ્યો છે. આ નરાધમ બિહારનો વતની છે અને સેક્ટર-25 GIDCમાં મજૂરી કામ કરતો હતો.
શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની વિગતો અનુસાર, 15 ડિસેમ્બર 2025ના રોજ આરોપી રામનીત યાદવે ગાંધીનગરમાં આ 4 વર્ષની બાળકીના ઘરની રેકી કરી હતી. ત્યારબાદ રાત્રિના સમયે જ્યારે પરિવાર સૂતો હતો, ત્યારે તે ઘરમાં ઘૂસીને માસૂમ બાળકીનું અપહરણ કરી ગયો હતો. આરોપી બાળકીને નજીકની અવાવરું ઝાડીઓમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે કુકર્મ આચર્યું હતું. આ હેવાનિયત બાદ, આરોપી નિર્દોષ બાળકીને મૃત સમજીને લોહીલુહાણ હાલતમાં ત્યાં જ છોડીને ભાગી છૂટ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ભારે રોષ અને આક્રોશની લાગણી જન્મી હતી.
CCTV ફૂટેજના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં દબોચ્યો હતો
સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે, ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 અને પોક્સો એક્ટ (POCSO) 2012ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે આ કેસની ખૂબ જ ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ બિહારના આ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
કોર્ટે આપ્યો દાખલારૂપ ચુકાદો
પોલીસે આ કેસમાં મજબૂત પુરાવા અને ચાર્જશીટ રજૂ કરી હતી, જેના આધારે કોર્ટે નરાધમ રામનીત યાદવને જરા પણ રહેમ રાખ્યા વિના આજીવન કેદની સજા સંભળાવી છે. કાયદાના નિષ્ણાતોના મતે, આવા સખત ચુકાદાઓ સમાજમાં વિકૃત માનસિકતા ધરાવતા ગુનેગારોમાં કાયદાનો ભય પેદા કરવા માટે અત્યંત જરૂરી છે.








