Get The App

ગાંધીજીને ધો. 4માં ગણિત અને ડિક્ટેશનમાં ડિસ્ટીંશન,ભૂગોળ-ઈતિહાસમાં પાસિંગ માર્ક

Updated: Oct 1st, 2022

GS TEAM


Google News
Google News
ગાંધીજીને ધો. 4માં ગણિત અને ડિક્ટેશનમાં ડિસ્ટીંશન,ભૂગોળ-ઈતિહાસમાં પાસિંગ માર્ક 1 - image


હસ્તલિખિત માર્કશીટમાં શિક્ષકની લાયકાત પણ જણાવાતી! : રાજકોટ મનપા સંચાલિત શાળા નં.1માં તેઓએ પ્રાથમિક શિક્ષણ લીધું, શાળાને સ્મારક બનાવવા વર્ષોથી યોજનાઓ પણ હજુ અમલનો ઈંતજાર : કબા ગાંધીના ડેલામાં ગાંધીજીનું બાળપણ વિત્યુ , રાષ્ટ્રીયશાળાની સ્થાપના તેમણે કરાવી,રાજકોટમાં ગાંધી સર્કિટ બની શકે,રસ કોને? 

 રાજકોટ, : આવતીકાલે મહાત્મા ગાંધી જયંતિની દેશભરમાં ઉજવણી થશે, આજે પણ કરોડો હૃદયસિંહાસનો પર બીરાજતા ગાંધીજીનું સંસ્કાર સિંચન રાજકોટમાં થયું હતું. તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદરથી રાજકોટ રાજ્યના દિવાન તરીકે આવ્યા ત્યારે રાજકોટની કિશોરસિંહજી શાળા જે આજે પણ મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.1તરીકે કાર્યરત છે ત્યાં  ગાંધીજી ધો. 3 અને 4માં અભ્યાસ કર્યો હતો જેમાં આજે પણ સચવાયેલી ધો. 4ની માર્કશીટમાં ગાંધીજીને અંકગણિત,દેશી હિસાબમાં તથા ડિક્ટેશન અને કોપીમાં 70 માર્ક્સ  આવ્યા હતા જ્યારે ઈતિહાસ, ભૂગોળ, નક્શો ચિતરવો એ ત્રણેયના સંયુક્ત વિષયમાં અને વ્યાકરણ,કવિતાના વિષયમાં 37 માર્ક્સ આવ્યા હતા. 

એ વખતની માર્કશીટ હસ્તાક્ષરે લખાતી, જેની ઉપર શિક્ષકનું માત્ર નામ જ નહીં પણ ઉંમર, નોકરીના વર્ષો, ક્યાં કેટલા માર્કે સ્કોલર થયા તે લાયકાત પણ લખાતી હતી. એ વખતે ગાંધીજીની ઉંમર 12 વર્ષની હતી. આ સ્કૂલ કે આજે શાળા નં.1 કહેવાય છે તેનો ગાંધી સ્મારક તરીકે વિકાસ કરવા વિપુલ તકો છતાં માત્ર આયોજન થયું છે. મનપાએ અગાઉ આશિક ભાગનું રિનોવેશન કરાવ્યું હતું.શિક્ષણ સમિતિના ચેરમેન કહે છે અમે આ માટે પ્લાનીંગ કરી રહ્યા છીએ.

 બાદમાં ગાંધીજી રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં ભણ્યા હતા. સૌરાષ્ટ્રની સૌ પ્રથમ અંગ્રેજી માધ્યમની શાળા રાજકોટમાં 1853માં રાજકોટ ઈંગ્લીશ સ્કૂલ તરીકે સ્થપાઈ હતી  અને 1868માં તે હાઈસ્કૂલ બની અને 1907માં તેનું નામ આલ્ફ્રેડ હાઈસ્કૂલ રખાયું હતું. આઝાદી પછી તેનું નામ મોહનદાસ ગાંધી વિદ્યાલય અને હવે તે ગાંધી મ્યુઝિયમમાં ફેરવાયેલી છે. મહાત્મા ગાંધી ઈ.સ. 1887માં ત્યાં માધ્યમિક શિક્ષણ લીધું હતું અને ત્યારે ખૂબ અઘરી ગણાતી મેટ્રીકની  પરીક્ષા પાસ કરી હતી. રાજકોટ બાદ તેઓ ભાવનગરમાં શામળદાસ કોલેજમાં એક વર્ષ ભણ્યા અને બાદમાં તેઓ બેરીસ્ટરનું ભણવા ઈંગ્લેન્ડ ગયા હતા. 

મહાત્મા ગાંધીજીનું રાજકોટમાં કબા ગાંધીનો ડેલો બાળપણથી તરૂણાવસ્થા સુધી ઈ.સ. 1915માં અમદાવાદમાં આશ્રમ સ્થપાયો ત્યાં સુધી નિવાસસ્થાન રહ્યું છે. બાળપણમાં મળેલા અને આજીવન દ્રઢ રહેલા સંસ્કારોનું સિંચન તેમને રાજકોટમાં થયું હતું.આ ઉપરાંત રાષ્ટ્રીય ચળવળ માટે તેમણે સ્થાપેલી રાષ્ટ્રીય શાળાથી માંડીને તેમણે રાજકોટમાં જ બેરીસ્ટર તરીકે પ્રેક્ટીસ શરૂ કરી, સત્યાગ્રહ પણ કરાયો તે સહિત અનેક સંભારણાં છે અને ગાંધી સર્કિટનું પ્રેરણાદાયી પ્રવાસન ખિલે તેમ છે, પરંતુ, તે માટે નેતાઓએ કરોડોના વિકાસકામોની હરણફાળ વચ્ચે આ કામમાં રસ લેવાની જરૂર છે. 

Tags :