દબાણ હટાવવાનો બીજો રાઉન્ડ શરૂ
મોટાભાગના દબાણો તો સ્વેચ્છાએ જ હટાવી લેવાયા, મનપા દ્વારા 20 દુકાનો, 30 શેડ અને 60 ઓટલા તોડી પડાયા
આ અંગે ગાંધીધામ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર સંજય રામાનુજે માહિતી આપતા જણાવ્યુ હતું કે, મનપા દ્વારા ગાંધીધામના સુંદરપૂરી વિસ્તારમાં માર્ગો પહોળા કરવા માટે નડતાં દબાણો હટાવવા નોટિસો અપાઈ હતી. જેથી મોટા ભાગના લોકો દ્વારા સ્વેચ્છાએ દબાણો હટાવી નાખ્યા હતા. જોકે અમુક દબાણો હટાવવાના બાકી રહી ગયા હોવાથી મનપા ની ટિમ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જેમાં સુંદરપૂરી વિસ્તારમાં આવેલી ૨૦ પાકી દુકાનો, ૩૦ શેડ અને ૬૦ ઓટલા મળી એક દિવસની કામગીરીમાં કુલ ૧૧૦ દબાણો હટાવી નાખવામાં આવ્યા છે. જોકે આ દબાણ હટાવવાની પ્રવૃતિ ચાલુ જ રહેશે. જેમને પણ નોટિસ મળી છે તે સ્વેચ્છાએ દબાણ હટાવી લે તેવી અપીલ પણ તેમણે કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ મનપા દ્વારા એક મહિના પહેલા આદિપુરમાં દબાણ હટાવવામાં આવ્યું હતું. જે બાદ અચાનક દબાણ હટાવવાની કામગીરી પર બ્રેક લાગી ગયો હતો અને માત્ર સર્વે કામગીરી જ ચાલુ રહી હતી. ત્યારે એક મહિનાના વિરામ બાદ મનપાએ ફરી દબાણ હટાવવાની કામગીરી આરંભી છે.
મહિના પહેલા જ્યાંથી દબાણ હટયા ત્યાંથી મલબો હજુ નથી હટયો
મનપા દ્વારા છેલ્લે ૧૦ ફેબ્આરીના રોજ આદિપુર ખાતે દબાણ હટાવવાની કામગીરી કરાઇ હતી. જે દરમિયાન પાલિકાનું બુલડોઝર ફરતા મલબો તે વિસ્તારમાં પથરાઈ ગયો હતો અને સ્થાનિકોને ભૂકંપની યાદ તાજી થઈ ગઈ હતી. આ વાતને મહિનો થઈ ગયો છે છતાં હજુ સુધી દબાણ હટાવ્યું તે વિસ્તાર માઠી મલબો ઉપાડવામાં નથી આવ્યો પરિણામે સ્થાનિક લોકોને જ પરેશાની ભોગવવી પડી રહી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.


