Get The App

ગાંધીધામની હોસ્પિટલ પીએમજેએવાય યોજનામાં વિસંગતતા બદલ સસ્પેન્ડ

Updated: Mar 7th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીધામની હોસ્પિટલ પીએમજેએવાય યોજનામાં વિસંગતતા બદલ સસ્પેન્ડ 1 - image

ખ્યાતિકાંડ બાદ રાજ્યમાં ચાલતી તપાસમાં

ભુજની એક ખાનગી હોસ્પિટલનો સેવા ન આપવા બદલ ખુલાસો મંગાયો બીજીને અધૂરાશ માટે નોટિસ 

ભુજ: લાંબો સમય ચકચારી રહેલા ખ્યાતિકાંડને પગલે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - મા યોજના સાથે જોડાયેલી રાજ્યની તમામ હોસ્પિટલોની તબીબો અને સાધનો ઉપરાંત દર્દીઓને અપાતી સારવારની તપાસના આદેશો કર્યા તેને પગલે કચ્છમાં પણ કાર્યવાહી ચાલે છે.  તે દરમિયાન જિલ્લાની ત્રણ હોસ્પિટલોમાં અલગ અલગ ક્ષતિ બહાર આવ્યાની આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી વિગતો બહાર આવી છે. ગાંધીધામની એક ખાનગી હોસ્પિટલને રાજ્યકક્ષાએથી સસ્પેન્ડ કરાઈ તો ભુજની ખાનગી હોસ્પિટલોને કારણદર્શક નોટિસો ફટકારાઈ હોવાની ચર્ચાએ બધું સમુસુતરૂં નથી ચાલતું તેવી બાબતોને પુષ્ટિ મળી રહી છે. 

ગાંધીધામની બાળકોની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમને તપાસમાં ક્લિનિકલ નોટસની વિસંગતા જણાયાની રાજ્યકક્ષાએ રજૂ કરાયેલી વિગતોને પગલે તન્મય ચિલ્ડ્રન હોસ્પિટલને છ મહિના માટે સસ્પેન્ડ કરાઈ હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. 

છાતીના દુખાવાને પગલે વધુ તપાસ માટે રીફર કરાયેલા દર્દીને બાયપાસ સર્જરીની જરૂર હોવાનું ભુજની કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબ દ્વારા જણાવાયા બાદ આયુષ્માન કાર્ડ હોવા છતાં ના પાડી દેવાયાની જિલ્લા કલેક્ટરને પીડિત પરિવારે રજૂઆત કરી હતી. ઉપરાંત રાજ્યના આરોગ્ય તંત્રને ફરિયાદ કરી હતી. આ દર્દીની રજૂઆતના અનુસંધાને આરોગ્ય વિભાગે હોસ્પિટલનો ખુલાસો પૂછ્યો હોવાનું આરોગ્ય તંત્રના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. 

ભુજની કચ્છ ઓર્થોપેડિક હોસ્પિટલની આરોગ્ય ટીમની મુલાકાત દરમિયાન તબીબી સંલગ્ન માનવબળ ઉપરાંત સાધન સામગ્રી નિયમોનુસાર ન હોવાનું જણાતાં નોટિસ અપાઈ હોવાનું આરોગ્ય વર્તુળોએ જણાવ્યું હતું.