Gujarat

ગંભીરા બ્રિજની ક્ષતિઓ સમયસર ધ્યાનમાં ના લીધી, હવે મુખ્યમંત્રીના તપાસના આદેશ

By GS TEAM
9 Jul 20253 mins read
TukuTouch Logo
મહીસાગર નદી પર આવેલો મુજપુર-ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતાં 9 જેટલા લોકોના મોત થયા છે. આ ઘટના પગલે મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું અને તપાસના આદેશ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે જોખમી બ્રિજને લઈને જાગૃત નાગરિકો દ્વારા અગાઉ રજૂઆત કરવા છતાં સરકાર કે તંત્ર જાગ્યું ન હતું, પરંતુ બ્રિજ તૂટી પડવાની ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ ઊંઘ ઉડી છે. ગંભીરા બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીના આદેશ બાદ તંત્ર ઍલર્ટ થઈ ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગંભીરા બ્રિજની ક્ષતિઓ સમયસર ધ્યાનમાં ના લીધી, હવે મુખ્યમંત્રીના તપાસના આદેશ

Gambhira Bridge Collapse : મહીસાગર નદી પર આવેલો મુજપુર-ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતાં 9 જેટલા લોકોના મોત થયા છે. આ ઘટના પગલે મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું અને તપાસના આદેશ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે જોખમી બ્રિજને લઈને જાગૃત નાગરિકો દ્વારા અગાઉ રજૂઆત કરવા છતાં સરકાર કે તંત્ર જાગ્યું ન હતું, પરંતુ બ્રિજ તૂટી પડવાની ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ ઊંઘ ઉડી છે. ગંભીરા બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીના આદેશ બાદ તંત્ર ઍલર્ટ થઈ ગયું છે. 


બ્રિજ તૂટી પડવાના કારણો માટે તપાસ આદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને દુર્ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કરવાની સાથે તપાસના આદેશ આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે 'આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો 1 ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું. ઈજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેકટર સાથે વાતચીત કરીને અગ્રતા ક્રમે પ્રબંધ કરવાની સૂચનાઓ આપી છે.' 


આ પણ વાંચો: 'દુર્ઘટના માટે તૈયાર રહેજો'! ગંભીરા બ્રિજ મુદ્દે ત્રણ વર્ષ પહેલા જ એક જાગૃત નાગરિકે ચેતવણી આપી હતી

દુર્ઘટના સ્થળે બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક નગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ બોટ્સ અને તરવૈયાઓ સાથે કાર્યરત છે, તેમજ NDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં જોડાઈ છે. આ દુર્ઘટના અંગે માર્ગ મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે.

આ માટે ચીફ એન્જિનિયર-ડિઝાઇન તથા ચીફ ઇજનેર-સાઉથ ગુજરાત અને પુલ નિર્માણમાં નિષ્ણાત અન્ય બે ખાનગી ઇજનેરોની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપી છે.

રાજ્ય સરકાર મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરતાં મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં લખ્યું હતું કે 'આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.'  


દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. તેમજ, દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાય, ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખ, ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય જાહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને કહ્યું હતું કે 'વડોદરા જિલ્લામાં બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અત્યંત દુઃખદ છે. આ ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.



વડાપ્રધાને આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે પ્રધાનમંત્રી રાહત ફંડ (PMNRF) માંથી મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના નજીકના સંબંધીઓને રૂપિયા 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને રૂપિયા 50,000 ની સહાય પૂરી પાડવામાં આવશે.