ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જવાબદારો સામે હત્યાનો ગુનો નોંધવા કોંગ્રેસની માગ, આંદોલનની ચીમકી
Gambhira Bridge Collapse: વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાના બનાવમાં મૃત્યુ આંક 16 ઉપર પહોંચ્યો છે. આ અંગે ગંભીર બેદરકારી દાખવનારા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત તમામ જવાબદારો સામે માનવવધનો ગુનો દાખલ કરવા કોંગ્રેસે માગ કરી છે. વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના નેતાએ બ્રિજની દુર્ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવનારા અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો સામે ઊંડાણપૂર્વક તપાસ કરી માનવવધનો ગુનો દાખલ કરવા માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે, 'આ મુદ્દે આંદોલનની સાથે સાથે હાઇકોર્ટમાં પણ દાદ માંગવામાં આવશે'. આ અંગે કોંગ્રેસે વડોદરા જિલ્લા પોલીસ વડાને અરજી કરીને આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.
વડોદરા જિલ્લા પંચાયતના વિપત્રના નેતા એમ.આઈ પટેલે જિલ્લા પોલીસ વડાને લખેલી અરજીમાં રજૂઆત કરી છે કે, 'અમારા જિલ્લા પંચાયતના સદસ્યએ ત્રણ વર્ષથી વારંવાર રજૂઆત કરી છે પરંતુ કોંગ્રેસના સદસ્યને અને તેમની રજૂઆતને ગંભીરતાથી નહીં લેવાની માનસિકતાને કારણે આ પરિણામ જોવા મળ્યું છે. આવી જ રીતે વડોદરા જિલ્લા પંચાયતની પ્રાથમિક સ્કૂલો બાબતે પણ વારંવાર રજૂઆત કરી છે. પરંતુ તે રજૂઆતને પણ ગંભીરતાથી લેવાતી નથી અને તેને કારણે આવી દુર્ઘટના બનવાની શક્યતા રહેલી છે'.
સોશિયલ મીડિયા પર પણ અપાઈ હતી ચેતવણી
મહત્ત્વનું છે કે, એક જાગૃત નાગરિકે 27 જૂન, 2023 ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો પોસ્ટ કરીને આ જ ગંભીરા બ્રિજ અંગે ચેતવણી આપી હતી. તેમણે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત મીડિયાને ટેગ કરીને લખ્યું હતું કે, "તમારા માટે બ્રેકિંગ ન્યૂઝ આવશે, જેવા મોરબીના આવ્યા હતા. કવરેજ માટે તૈયાર રહેજો." આ સ્પષ્ટ અને ભયાવહ ચેતવણી છતાં, તંત્ર દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. અને છેવટે ગંભીરા બ્રિજ દુર્ઘટના બની.
પૂર્વ ચેતવણી છતાં તંત્ર નિષ્ક્રિય
મુજપુર જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ ચંદુભાઈ પરમારે 4 ઓગસ્ટ, 2022 ના રોજ જિલ્લા કલેક્ટર અને માર્ગ અને મકાન (R&B) વિભાગને પત્ર લખીને બ્રિજની જોખમી સ્થિતિ અંગે ધ્યાન દોર્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બ્રિજના પિલ્લરોમાં ખામી સર્જાઈ છે, તે ઢીલા પડી ગયા છે. બ્રિજ પરથી પસાર થતી વખતે ધ્રુજારી અનુભવાય છે અને તેની સપાટી સતત બગડી રહી છે. પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો ભવિષ્યમાં કોઈ જાનહાનિ થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.
હર્ષદસિંહ પરમારની આ ગંભીર રજૂઆત છતાં, તંત્ર દ્વારા બ્રિજને જોખમી જાહેર કરીને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં, બ્રિજની સુરક્ષા સંબંધિત કોઈ તપાસ કે ટેસ્ટ રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો ન હતો, જેના પરિણામે આજે આ ભયાવહ દુર્ઘટના સર્જાઈ છે અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.