Gujarat

પૈસા પૂરા પણ પેટ્રોલ-ડીઝલ અધૂરું, પેટ્રોલપંપ પર 'ડિજિટલ લૂંટ', આપદા બની અવસર

By GS TEAM
25 May 20262 mins read
TukuTouch Logo
સામાન્ય વાહનચાલકો વાહનમાં બે લીટર પેટ્રોલ માટે લાઈનમાં ઊભો રહેવા મજબૂર બન્યો છે. ત્યારે હાલમાં ગુજરાતમાં ચાલી રહેલી પેટ્રોલ-ડીઝલની ભયંકર અછત વચ્ચે હવે ઈંધણ માફિયાઓએ આપત્તિને અવસરમાં બદલી નાખી છે. પેટ્રોલ પંપ પર વાહનોની કિલોમીટરો લાંબી કતારો છે અને આ જ અંધાધૂંધીનો ફાયદો ઉઠાવીને પેટ્રોલ પંપ સંચાલકોએ જનતાના ખિસ્સાં ખંખેરવા માટે ‘કટ પ્રેક્ટિસ’ (ઓછું ઈંધણ આપવું)નો કારસો શરૂ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પૈસા પૂરા પણ પેટ્રોલ-ડીઝલ અધૂરું, પેટ્રોલપંપ પર 'ડિજિટલ લૂંટ', આપદા બની અવસર

Gujarat Fuel Crisis: સામાન્ય વાહનચાલકો વાહનમાં બે લીટર પેટ્રોલ માટે લાઈનમાં ઊભો રહેવા મજબૂર બન્યો છે. ત્યારે હાલમાં ગુજરાતમાં ચાલી રહેલી પેટ્રોલ-ડીઝલની ભયંકર અછત વચ્ચે હવે ઈંધણ માફિયાઓએ આપત્તિને અવસરમાં બદલી નાખી છે. પેટ્રોલ પંપ પર વાહનોની કિલોમીટરો લાંબી કતારો છે અને આ જ અંધાધૂંધીનો ફાયદો ઉઠાવીને પેટ્રોલ પંપ સંચાલકોએ જનતાના ખિસ્સાં ખંખેરવા માટે ‘કટ પ્રેક્ટિસ’ (ઓછું ઈંધણ આપવું)નો કારસો શરૂ કર્યો છે.

લીગલ મેટ્રોલોજી-તોલમાપ ઈન્સ્પેક્ટરો શંકાના ઘેરામાં

છેલ્લાં એકાદ સપ્તાહથી કચ્છથી માંડીને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછતને લઈને હોબાળો મચ્યો છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ નથી તેવા પાટિયાં ઝૂલી રહ્યાં છે. ટુ વ્હીલરથી માંડીને કાર-ટ્રકચાલકો પેટ્રોલ-ડીઝલ મેળવવા આમથી તેમ ભટકી રહ્યાં છે, ત્યારે ચૂંટણીઓ ટાણે મફતની રેવડીઓ અને સુવિધાઓના વાયદા કરતી સરકાર ઈંધણની કટોકટી સમયે ક્યાંય દેખાતી નથી. વહીવટી તંત્ર માત્ર કાગળ પર સમીક્ષા બેઠકો યોજીને સંતોષ માની રહ્યું છે, જ્યારે સામાન્ય નાગરિક કાળઝાળ ગરમીમાં પેટ્રોલ પંપની લાઈનમાં ઊભા રહીને પોતાના જ પૈસાથી લૂંટાવા માટે મજબૂર બન્યો છે.

વાહનચાલકો માટે બેવડી મુશ્કેલી થઈ છે કેમકે, એક તરફ, રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે. બીજી તરફ, પેટ્રોલ પંપ પર કટ પ્રેક્ટિસ કરીને પેટ્રોલ-ડીઝલનો જથ્થો પણ પુરતો અપાતો નથી. આ ડીજીટલ લૂંટમાં સૌથી મોટો સવાલ મેટ્રોલોજી અને તોલમાપ ઈન્સ્પેક્ટરોની ભૂમિકા સામે ઊઠી રહ્યો છે. જે અધિકારીઓ પર ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી છે, તેઓ હાલમાં ‘ગાંધીછાપ’ ચશ્મા પહેરીને ઓફિસોમાં એસીની હવા ખાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: શેઠની શીખામણ ઝાંપા સુધી... અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે

કચ્છથી માંડીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી આ છેતરપિંડીની બૂમો પડી રહી છે, છતાં પણ તોલમાપ વિભાગ દ્વારા ઓછી ડિલિવરી આપતા પંપો સામે ભાગ્યે જ કોઈ કેસ કરવામાં આવ્યા છે. જો કે, હવે તો પેટ્રોલ, ડીઝલ, સીએનજી પંપ પર વેરિફિકેશનની કામગીરી પણ સરકાર માન્ય ખાનગી એજન્સીઓને સોપાયું હોય તેવું જાણવા મળ્યું છે. ઇન્સ્પેક્ટર રાજ તો ખતમ થઈ જશે પણ ખાનગી એજન્સીઓ પણ પેટ્રોલ પંપ માલિકોને ફાયદો થાય તેવી કામગીરી તો નહીં કરે ને તેવો સવાલ ઉઠ્યો છે.