Get The App

જામનગરમાં માત્ર 20 રૂપિયાની માંગણીમાં ફ્રુટ વિક્રેતા પર જીવલેણ હુમલો કરાયા બાદ સારવારમાં મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પલટાયો

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં માત્ર 20 રૂપિયાની માંગણીમાં ફ્રુટ વિક્રેતા પર જીવલેણ હુમલો કરાયા બાદ સારવારમાં મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પલટાયો 1 - image

Jamnagar : જામનગર શહેરમાં પાંચ દિવસ પહેલાં માત્ર વીસ રૂપિયાની માંગણીને લઈને હત્યાના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અને ઈજાગ્રસ્ત ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં, જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે અગાઉ આરોપીને હત્યા પ્રયાસ કેસમાં પકડીને જેલ હવાલે કરી દીધો હતો, જેમાં હત્યાની કલમનો ઉમેરો કરાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવીવાસ વિસ્તારમાં રહેતા રમેશભાઈ નારણભાઈ દતાણી (55), જેઓ ફુટપાથ પર રેકડી ચલાવી જીવન નિર્વાહ કરતા હતા, તેઓ ઉપર આજથી પાંચ દિવસ પહેલાં વહેલી સવારના સમયે હુમલો કરવામાં આવ્યો હતો. રમેશભાઈ નવીવાસ વિસ્તારના એક મકાનના ઓટલા પર સુતા હતા, ત્યારે આરોપી ઈતિયાઝ ઉર્ફે ભોયો યુનુસભાઈ ગામેતીએ ત્યાં આવી બળજબરીથી 20 રૂપીયાની માંગણી કરી હતી. પૈસા આપવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો, અને છરી વડે પેટના ભાગે ત્રણ ઘા મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

હુમલા બાદ ઈજાગ્રસ્ત રમેશભાઈને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. જામનગરના સીટી એ. ડિવિઝનના પી. આઈ.ના માર્ગદર્શન હેઠળ દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ. અને તેઓની ટીમે આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે ભોયો ગામેતીને અગાઉ હત્યા પ્રયાસ કેસમાં ઝડપી લીધો હતો, અને હુમલામાં વપરાયેલી છરી કબજે કરી લીધી હતી, અને તેને જેલ હવાલે પણ કરી દેવાયો હતો. દરમિયાન આ બનાવ હત્યામાં પલટાયો હોવાથી તેની સામે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.