પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહી છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રધાન મંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને કમાટીપુરામાં રહેતા ચાર લોકો પાસેથી 1.78 લાખ પડાવી લઇ છેતરપિંડી કરનાર ભેજાબાજ સામે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કમાટીપુરા નરહરિ હોસ્પિટલની પાછળ રહેતા ગુલાબસિંગ ઉદેસિંગ જાદવ અલકાપુરીની એડ્રોઇ કન્સટ્રક્શન કંપનીમાં ઓફિસ બોય તરીકે નોકરી કરે છે. તેણે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, સમા ખાતે તૈયાર થતા મકાનમાં મારે મકાન લેવું હોઇ જુલાઇ -2024માં તે અંગેની માહિતી અને દસ્તાવેજો ભેગા કરતો હતો. તે દરમિયાન પાડોશી મારફતે સંજય રાજુભાઇ પ્રજાપતિની ઓળખાણ થઇ હતી. પાડોશીએ તેઓની ઓળખાણ આવાસ યોજનાના એજન્ટ તરીકે આપી હતી. સંજય અને તેની પત્ની દિવ્યા અમારા ઘરે આવ્યા હતા. સંજયે મને કહ્યું હતું કે, સરકારી કામમાં મને મોટા સાહેબો ઓળખે છે. તમને ચોક્કસ મકાન અપાવી દઇશ, તે માટે સાહેબને 50 હજાર આપવા પડશે. તેમના પર વિશ્વાસ કરીને મેં તેઓને મારા દસ્તાવેજો આપ્યા હતા. મેં તેઓને કુલ 59 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ મને ખબર પડી હતી કે, સંજયભાઇએ અલગ - અલગ વ્યક્તિઓ પાસેથી મકાન અપાવવાના બહાને રૂપિયા લીધા છે. ત્યારબાદ તેમનો ફોન લાગતો નહતો અને મકાન ખાલી કરીને અન્ય સ્થળે રહેવા જતા રહ્યા હતા. થોડા દિવસ પછી પાડોશી કીર્તિબેન કહારે કહ્યું હતું કે, સંજયભાઇની માતાને એટેક આવ્યો છે. તેઓ અમદાવાદ ગયા છે. સંજય રાજુભાઇ પ્રજાપતિ (રહે. ચંદ્રભાડા હાઉસિંગ બોર્ડ, નવા વાડજ, અમદાવાદ તથા સમા જલારામ મંદિર પાસે) એ મારી પાસેથી 59 હજાર તથા પાડોશી સતિષભાઇ પાસેથી 54 હજાર, મયંક પટેલ પાસેથી 39 હજાર તથા કીર્તિબેન પાસેથી 32 હજાર મળી કુલ 1.78 લાખ પડાવી લીધા હતા.









