Get The App

ઓખામાં 2 એજન્ટો અને 93 ફિશિંગ બોટના માલિકો સામે છેતરપિંડીનો ગુનો

Updated: Jun 19th, 2025

GS TEAM


Google News
Google News
ઓખામાં 2 એજન્ટો અને 93 ફિશિંગ બોટના માલિકો સામે છેતરપિંડીનો ગુનો 1 - image


બોગસ બિલોના આધારે કોલ લાયસન્સ, બોટ રજિસ્ટ્રેશન કરાવતા : જૂની માછીમારી બોટના નવા કોલ લાયસન્સ રજિસ્ટ્રેશન કઢાવી રૂ.ત્રણે'ક કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું

જામખંભાળિયા, : ઓખાના આર.કે. બંદરે મત્સ્યોદ્યોગ વિભાગને લગતી કન્સલટન્ટ કામગીરી કરતા બે કન્સલ્ટન્ટ એજન્ટોએ ભૂતિયા બિલોના આધારે ૯૩ જેટલી બોટનું રજિસ્ટ્રેશન કરાવ્યાનો એસ.ઓ.જી.એ ભાંડોફોડ કરી ઉપરોક્ત બે એજન્ટો અને અન્ય નવ બોટ માલિકો સામે ગુનો નોંધી આગળની તપાસ કરી છે. આ કૌભાંડમાં સામેલ તમામ બોટ માલિકો સામે ખોટા સોગંદનામા રજુ કરવા, બિલો રજુ કરવા સહિતની બાબતોના ગુનો નોંધાયો છે. આ બોગસ રજિસ્ટ્રેશનમાં આશરે ૩ કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કન્સલ્ટન્ટોએ બોગસ કોલ લાયસન્સ કઢાવ્યાનું પણ બહાર આવ્યું છે.

એસ.ઓ.જી. વિભાગના  પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ઓખામાં આવેલા આર.કે  બંદર ખાતે માછીમારી બોટના ફિશિંગ વિભાગને લગતી કામગીરી કરતા ખાનગી એજન્ટ એવા ધરહેમત ફિશિંગ કન્સલ્ટિંગધ નામથી ઓફિસ ધરાવતો શાફીન સબીરભાઈ ભટ્ટી (ઉ.વ. 24, રહે. ગાંધીનગરી, ઓખા) તેમજ ધરામદૂત ઝેરોક્ષધ નામથી ફિશિંગ કન્સલ્ટિંગ તેમજ ઝેરોક્ષની દુકાન ધરાવતો સુનિલ મનસુખભાઈ નિમાવત (ઉ.વ. 42, રહે. નવીનગરી - ઓખા) નામના બે શખ્સોની અટકાયત કરી અને બોટ કૌભાંડની સિલસિલાબંધ વિગતો મેળવી હતી. 

જેમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઉપરોક્ત બંને શખ્સો દ્વારા અલગ અલગ માછીમારી બોટના માલિકો સાથે મળી અને જૂની માછીમારી બોટ તથા બિલ વગર ખરીદ કરવામાં આવેલી માછીમારી બોટ અને એન્જિન ખરીદીના બનાવટી બિલો બનાવવામાં આવતા હતા. આટલું જ નહીં, આરોપીઓ દ્વારા ખોટા સોગંદનામાં ઊભા કરી અને ગેરકાયદેસર રીતે જૂની માછીમારી બોટના નવા કોલ લાયસન્સ કાઢી આપી અને કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું છે.

ઉપરોક્ત બંને શખ્સોની ઓફિસ - દુકાનમાં તપાસ દરમિયાન નવી માછીમારી બોટના રજીસ્ટ્રેશન કરાવ્યા અંગેના શંકાસ્પદ કોલ લાયસન્સ તથા બોટ એન્જિન ખરીદી અંગેના શંકાસ્પદ બનાવટી બિલો મળી આવ્યા હતા. જે અંગેની કાયદેસરની કાર્યવાહી કરી અને અહીંથી મળી આવેલા તમામ ખરીદીના બિલો તથા બોટના કોલ લાયસન્સ કબજે કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડનો આંકડો રૂ. ત્રણ કરોડ સુધી પહોંચ્યો હોવાનું પણ જાહેર થયું છે.

આ અંગેની કાયદેસરની કાર્યવાહી કરી અને બિલો અંગે પ્રાથમિક તપાસ કરતા તમામ બનાવટી બીલોના આધારે ફિશિંગ વિભાગમાં કુલ 93  નવી માછીમારી બોટના રજીસ્ટ્રેશન થયા હોવાનું પણ જણાવાયું છે. જેથી બંને આરોપીઓ શાફીન ભટ્ટી અને સુનિલ નિમાવતની સાથે ૯૩ બોટ માલિકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ઓખા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પ્રકરણમાં પોલીસે ઉપરોક્ત બંને આરોપીઓ ઉપરાંત અન્ય આરોપીઓ હમીર હુસેન અલાયા સુંભણીયા (ઉ.વ. 41), આસીફ રજાક સુંભણીયા (ઉ.વ. 23), રજાક હુસેન અલાયા સુંભણીયા (ઉ.વ. 44), રજાક હુસેન દાઉદ સંઘાર (ઉ.વ. 32), અલી મુસા જુમા સુંભણીયા (ઉ.વ. 45), હાજી ઈબ્રાહીમ જુમા લુચાણી (ઉ.વ. 51), અસગર ઈબ્રાહિમ ઉમર ભેસલીયા (ઉ.વ. 24), આસિફ હાસમ આમદ લુચાણી (ઉ.વ. 32) અને કાદર દાઉદ સુલેમાન (ઉ.વ. 32) નામના અન્ય નવ શખ્સો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરોક્ત તમામ 11 શખ્સોની અટકાયત કરી, એસ.ઓ.જી. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બોટ માલિકો, એજન્ટો કે બીજા કોઈ શખ્સો અંગેની માહિતી મેળવવા માટે પણ આગળની કાર્યવાહી કરી હતી.

Tags :