Get The App

દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર કાલોલ નજીક મોડીરાત્રે કાર પલટી જતા વડોદરાના ચાર લોકોના કરૃણ મોત

અઠવાડિયામાં બીજો અકસ્માત ઃ એક જ કુટુંબના લોકો રાજસ્થાનના સિકર ગામે મરણ પ્રસંગે હાજરી આપીને પરત વડોદરા આવતા હતા

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હી મુંબઇ એક્સપ્રેસ  હાઇવે પર કાલોલ નજીક  મોડીરાત્રે કાર પલટી જતા વડોદરાના ચાર લોકોના કરૃણ મોત 1 - image

કાલોલ,વડોદરાના એક જ કુટુંબના સભ્યો રાજસ્થાન મરણ પ્રસંગમાં જઇને પરત આવતા હતા.   તે દરમિયાન મોડીરાત્રે  દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર કાલોલ નજીક ડ્રાઇવરને ઝોકું આવી જતા કાર પલટી ગઇ  હતી. કારમાં સવાર પાંચ પેકી ચારના કરૃણ મોત થયા હતા. જ્યારે એકનો બચાવ થયો છે. 

મળતી માહિતી મુજબ, વડોદરાના તાંદલજા વિસ્તારમાં  રહેતા ખીંચી કુટુંબના પાંચ લોકો રાજસ્થાનના સિકર ખાતે મરણ પ્રસંગે રાખેલા ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા. તેઓ વડોદરાથી શનિવારે સાંજે કાર લઇને રાજસ્થાન ગયા હતા. રાજસ્થાનમાં કાર્યક્રમમાં હાજરી આપી તેઓ ગઇકાલે સવારે પરત વડોદરા આવવા નીકળ્યા હતા. કાલોલ તાલુકાના બલેટીયા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ કોરિડોર પૈકીના ગોધરા વડોદરા વચ્ચેના કોરીડોરને હજી ૧૯  દિવસ પહેલા જ ટ્રાયલ રન માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. મોડીરાત્રે તેઓ આ રોડ પરથી  પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન  અચાનક કાર ડિવાઇડર સાથે અથડાઇને પલટી ખાઇ ગઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે,  કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. પોલીસ દ્વારા મૃતદેહોને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે કાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગોધરા વડોદરા વચ્ચેના આ કોરીડોર પર ગત અઠવાડિયે જ આ જ રીતે એક કાર ડિવાઈડર કૂદીને ફંગોળાઇ ગઈ હતી. જોકે, તે અકસ્માતમાં તમામ સભ્યોનો બચાવ થયો હતો. પરંતુ, ગઇકાલે રાત્રે થયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. એક્સપ્રેસ વે પર કાર ડિવાઈડર કૂદી જવાનું કારણ શું હતું? અકસ્માત સમયે કારની ગતિ કેટલી હતી તે દિશામાં પણ પોલીસે તપાસ શરૃ કરી છે.


અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકો બિઝનેસ કરે છે

 વડોદરા,

તાંદલદજા વિસ્તારમાં રહેતા વેપારી અને અગ્રણીના જણાવ્યા મુજબ, અકસ્માતમાં જીવ ગુમાવનાર રેહાનના પિતા બિલ્ડર  હતા. તેમજ  હાલમાં તેઓ મેડિકલ સ્ટોર પણ ચલાવે છે. તેમજ અન્ય મૃતકો પણ વોટર પ્રૂફિંગ અને ઇન્ડસ્ટ્રિયલ પી.ઓ.પી.નું કામ કરે છે. સાંજે તમામના મૃતદેહ વડોદરા આવી ગયા હતા. આ અકસ્માતમાં રઉફ નામના શખ્સનો આબાદ બચાવ થયો હતો. તેને સહેજ પણ ઇજા પહોંચી નહતી.



કાલોલ નજીક અકસ્માતમાં જીવ ગુમાવનારના નામ

(૧) ઇલિયાસ ઇકબાલ ખીંચી,ઉં.વ.૫૦    (૨) ઇશાક ઇકબાલ ખીંચી,ઉં.વ. ૪૮ ( બંને  રહે. આમીન કોમ્પલેક્સ,તાંદલજા) (૩) રેહાન અસગરભાઇ ખીંચી, ઉં.વ. ૩૫ (રહે. તહુરા પાર્ક, ગાર્ડન પાસે, તાંદલજા) તથા (૪) સાજિદ  અલાઉદ્દીન ખીંચી, ઉં.વ. ૫૫ (રહે.  હુસેની પાર્ક, તાંદલજા)


કોઇ ગાડીવાળો મદદ માટે ઊભો ના  રહ્યો 

 વડોદરા,

દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર થયેલા અકસ્માત અંગે ભોગ બનનારના પરિચિત લોકો  પાસેથી મળતી માહિતી મુજબ, અકસ્માત થયા  પછી બચી ગયેલા વ્યક્તિએ મદદ માટે અન્ય ગાડીઓને રોકવા માટે ઘણા  પ્રયાસો કર્યા હતા. પરંતુ, કોઇ ઊભું રહ્યું નહતું. થોડીવાર પછી એક ટ્રક ચાલક ઊભો રહ્યો હતો. તેણે પલટી ગયેલી કાર નીચે દબાઇ ગયેલા લોકોેને બહાર કાઢ્યા હતા.


દોઢ કલાક પછી મૃતદેહ હોસ્પિટલમાં લઇ જવાયા

વડોદરા,

અકસ્માત પછી મદદ માટે એમ્બ્યુલન્સ અને પોલીસને કોલ કરવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ ૧૫ મિનિટે આવી હતી. ચાર લોકોના મોત થયા હોઇ પોલીસને બોલાવવામાં આવી હતી. દરમિયાન વડોદરા ફોન કરીને બનાવની જાણ કરવામાં આવતા અહીંયાથી  પણ પરિવારજનો અને મિત્રો  પહોંચી ગયા હતા. દોઢ કલાક પછી મૃતદેહને સ્થળ પરથી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પોલીસ પણ મોડી આવી હતી.