ફેક્ટરીમાં ભભૂકેલી આગમાં ચાર જણાં દાઝ્યા, સંચાલકનું મોત
ભઠ્ઠીની બાજુમાં રહેલી ટેન્કમાંથી ઓઇલ લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી, લોધિકા પોલીસ દ્વારા તપાસ
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ પ્રિસિશન એલોયકાસ્ટમાં ગઇકાલે રાત પાળીમાં કામ ચાલુ હતું. તે વખતે ભઠ્ઠીની બાજુમાં આવેલી ટેન્કમાંથી ઓઇલ લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ફેક્ટરી માલિક ભરતભાઈ ધીરૂભાઈ કાકડીયા (ઉ.વ.૨૭, રહે. ૧૩-શિવમ પાર્ક, મોરબી રોડ), તેનો ભાઇ જયેશ (ઉ.વ.૨૪), ભાગીદાર અને સંબંધી પિયુષ ગોરધનભાઈ ડોબરીયા (ઉ.વ.૩૫, રહે. રાજકોટ) અને કારીગર પ્રદ્યુમન રામકૃપાલ રજપૂત (ઉ.વ.૨૩) દાઝી ગયા હતા.જેથી ચારેયને સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાંથી સખત રીતે દાઝી ગયેલા ભરતભાઇએ વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. જેને કારણે તેના પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો. બાકીના દાઝી ગયેલાઓ હાલ ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.
મૃતક ભરતભાઈ બે ભાઈ અને એક બહેનમાં મોટા હતા. સંતાનમાં એક પુત્ર છે. જાણ થતા લોધીકા પોલીસનાં એએસઆઈ ગોપાલભાઈએ સ્થળ પર અને હોસ્પિટલે જઇ તપાસ કરી હતી. લોધીકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ જારી રાખી છે.