ગુજરાતમાં બિન ખેતી જમીનની પ્રક્રિયાના નિયમો બદલાયા, જાણો શું મહત્ત્વના ફેરફાર કરાયા
Government of Gujarat: ગુજરાત સરકારે ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગીય પરિવારો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેમાં બિન ખેતી જમીનની પ્રક્રિયા કરાઈ સરળ બનાવાઈ છે. રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા-રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે. રાજ્યમાં ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટે ધારણ કરેલ નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. તો ખાતેદારને બિન ખેતી માટે અરજી કર્યાના 10 દિવસમાં જ એન.એ. મળશે. આ સાથે ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ મંજૂર તથા પ્રીમિયમની અને એન.એ.ની પરવાનગી કાર્યવાહી પણ વધુ સરળ બનાવાઈ છે.
નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત જમીનો હવેથી જૂની શરતની ગણાશે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 'રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલી નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનના વેચાણ, તબદીલી તથા હેતુફેર/ શરતફેરના કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટર કે યથા પ્રસંગ સરકારની નક્કી કરેલ શરતોને આધીન પૂર્વમંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે. ઉપરાંત આવી જમીનો શરતફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રીમિયમ પણ ભરવાનું રહે છે. રાજ્યની મહા નગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિન ખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રીમિયમમાંથી મુક્તિ મળશે. આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે નોંધ પાડવાની રહેશે.'
શરતફેરની વહીવટી પ્રક્રિયા સરળ બનશે
ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે. બિન ખેતી હેતુ માટે પ્રીમિયમને પાત્ર જમીનો ઉપર ઉદ્યોગ, ધંધા,વેપાર સ્થાપવા માટે જૂનીશરતમાં ફેરવવાની જરૂર નહીં રહેવાના કારણે ઔદ્યોગિકરણ તથા વિકાસને વેગ મળશે, રોજગારી તથા રાજ્યનો જી.ડી.પી. પણ વધશે. નાના ખેડૂતો કે જમીન ધારકોના જીવન ધોરણમાં સુધારો થશે અને જમીનધારકોને વેચાણ સમયે પૂરતું મૂલ્ય મળશે. તથા સરકારી કચેરીઓમાં પ્રીમિયમ ભરવા જવામાંથી મુક્તિ મળશે.
બિન ખેતી પ્રક્રિયામાં સરળીકરણ
રાજ્યના મહેસૂલ વિભાગે બિન ખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે.
•સંબંધિત કલેકટરને અરજી કર્યાની તારીખથી 30 દિવસમાં નિર્ણય કરવાની જેાગવાઈ કરવામાં આવી છે.
•પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિન ખેતીની અરજી કરવામાં આવે તો 10 દિવસમાં પ્રીમિયમ/દંડ/રૂપાંતરણ/વિશેષધારો ભરવા માટે જાણ કરવામાં આવશે.
•પ્રમાણપત્ર વિના પણ બિન ખેતી અરજી કરવામાં આવે તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય કરવામાં આવશે.
ખેડૂત ખરાઈની અરજીની તારીખથી 25 વર્ષ પહેલાના રેકર્ડને ધ્યાને નહીં લેવાય
અન્ય એક મહત્ત્વપૂર્ણ નિર્ણય એ પણ કર્યો છે કે, ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત/ બિન ખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે બિન ખેતીમાં ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી 25 વર્ષ પહેલાના રેકર્ડને ધ્યાને લેવાનું રહેશે નહીં.