ધોરણ 12ના પરિણામની ફોર્મ્યુલા જાહેર, જાણો ધોરણ 10 અને 11ના કેટલા ગુણ ગણતરીમાં લેવાશે?
- જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ આપવામાં આવશે
Updated: Jun 17th, 2021
અમદાવાદ, તા. 17 જૂન 2021, ગુરુવાર
કોરોના વાયરસની બીજી લહેરના કારણે રાજ્યમાં 12મા ધોરણની બોર્ડની પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. રાજ્યમાં ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12ના પરિણામની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી છે. એટલે કે સરકારે જાહેર કર્યુ છે કે 12મા ધોરણના વિદ્યાર્થીઓની માર્કશીટ કેવી રીતે બનશે. ઉલ્લેખનીય છે કે સીબીએસઇ બોર્ડ દ્વારા પણ બપોરે માર્કશીટનું માશખું જાહેર કરાયું હતું, જો કે ગુજરાત બોર્ડની ફોર્મ્યુલા સીબીએસઇ કરતા અલગ છે.
ગુજરાત બોર્ડની ફોર્મયુલા પ્રમાણે ધોરણ 12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ગણાશે, તો ધોરણ 10 બોર્ડના 50 ગુણ ગણવામાં આવશે. આ સિવાય ધોરણ 11ના 25 ગુણ ગણવામાં આવશે. આ માર્કશીટ જુલાઇ મહિનાના બીજી મહિનામાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.
12મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ભલે અપાયું, પરંતુ એન્જીનયરીંગ અને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે જેઇઇ અને નીટની પરીક્ષા તો લેવાશે જ. જો કે અહીં એક વાત એ પણ છે કે સરકારે હજુ પણ ધોરણ 10 અને ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓ માટે કોઇ નિર્ણય લીધો નથી.