જામનગરના અતિ ચકચારી એવા શાળાની વિદ્યાર્થિની સાથેના દુષ્કર્મ કેસમાંથી પૂર્વ આચાર્યની ડિસ્ચાર્જની અરજી રદ કરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Court : જામનગરમાં આવેલી એક શાળામાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની સાથેના દુષ્કર્મના ચકચારી કેસમાંથી પોતાને ડિસ્ચાર્જ (મુક્ત) કરવા શાળાના પુર્વ આચાર્યએ કરેલી અરજી અત્રેની પોક્સો અદાલતે રદ કરીને અરજદાર એવા પુર્વ આચાર્યને રૂ.15 હજારની દંડાત્મક રકમ કોસ્ટરૂપે ભરવા આદેશ કર્યો છે.
વર્ષ 2023માં એક યુવતીએ સત્યસાંઈ સ્કુલના પુર્વ આચાર્ય મનિષ બુચ સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે, પોતે સગીર વયે વર્ષ 2015માં તત્કાલિન આચાર્ય મનિષ બુચની ચેમ્બરમાં ધોરણ-11નું એડમીશન ફોર્મ લેવા ગઈ ત્યારે ઓફીસમાં છેડછાડ કર્યા બાદ ધમકી આપીને પોતાને એક જગ્યામાં લઈ જઈને ફોટા પાડીને તેણી સાથે પુર્વ આચાર્યએ શરીર સબંધ બાંધ્યાની અને ત્યાર બાદ પણ હેરાનગતિની ફરિયાદ કરી હતી. આથી પોલીસે તત્કાલિન આચાર્યની પોક્સો સહિતની કલમો હેઠળ ધરપકડ કરી હતી.
આ કેસ ચાલવા ઉપર આવતાં આરોપી એવા પુર્વ આચાર્ય દ્વારા સંમતિપુર્વકના સંબંધો છે, તેમજ અલગ અલગ સાહેદોના નિવેદનો ટાંકીને પોતાની ડિસ્ચાર્જ અરજી મંજુર કરવા પોક્સો અદાલત સમક્ષ માંગણી કરવામાં આવી હતી. આ કેસમાં રોકાયેલા સરકારી વકીલે અદાલતને રજુઆત કરી હતી કે, ભોગ બનનારની લંબાણપુર્વકની જુબાની થયેલી છે અને આરોપી યેન કેન પ્રકારે કેસ લંબાવવાની કોશિષ કરે છે. તેમજ ડિસ્ચાર્જ અરજી પ્રોપર ફોર્મમાં નથી. આથી અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળીને આરોપી પુર્વ આચાર્યની કેસ ડિસ્ચાર્જ અરજી રદ કરીને રૂ.15000ની રકમ ભરવા હુકમ કર્યો છે.









