Get The App

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું નિધન: આજે સાંજે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા

- શંકરસિંહ વાઘેલાના રાષ્ટ્રીય જનતા પાર્ટીના સમયમાં એટલે કે 97-98માં તેઓ માત્ર પાંચ મહિના માટે સીએમ રહ્યા હતા

Updated: Oct 25th, 2019

GS TEAM


Google News
Google News
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું નિધન: આજે સાંજે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા 1 - image

ગાંધીનગર, તા. 25 ઓક્ટોબર 2019 શુક્રવાર

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું આજે બપોરે લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. તેમની અંતિમ યાત્રા આજે સાંજે સાડા છ વાગ્યે અમદાવાદ ખાતે બોડકદેવ વિસ્તારમાં આવેલા તેમના નિવાસ સ્થાનેથી નિકળશે દિલીપ પરીખ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા કે તેઓ માંડ પાંચ મહિના સુધી પોતાના પદ પર રહી શક્યા હતા.

1990માં તેઓ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા હતા, ત્યારબાદ તેઓ તે સમયના ભાજપના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં આવ્યા હતા. 1995 વિધાનસભાની ચૂંટણીમાં તેઓ જીતી ગયા હતા, ત્યારબાદ શંકરસિંહ વાઘેલાએ ભાજપમાંથી બળવો કરીને રાજપા નામનો નવો પક્ષ બનાવ્યો હતો.

જેને પગલે દિલીપ પરીખ પણ ભાજપ છોડીને વાઘેલાની સાથે રાજભામાં જોડાઈ ગયા હતા વાઘેલાએ બળવો કર્યા બાદ ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું હતું એ સમયે રાજપા પાસે માત્ર 46 ધારાસભ્ય હતા જ્યારે ભાજપ પાસે 76 ધારાસભ્ય હતા. આમ છતાં વાઘેલાએ કોંગ્રેસનો બહારથી ટેકો લઈને રાજપાલની સરકાર બનાવી હતી કોંગ્રેસ પાસે એ સમયે 44 ધારાસભ્ય હતા એટલું જ નહિ દિલીપ પરીખને મુખ્યમંત્રી પદે બેસાડ્યા હતા.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું નિધન: આજે સાંજે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા 2 - image28 ઓક્ટોબર 1997 ના દિવસે દિલીપ પરીખ મુખ્યમંત્રી બન્યા હતા જોકે તેમના પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નહોતી આમ લઘુમતી વાળી સરકાર ખુબજ દબાણમાં કામ કરતી હતી. 1998માં કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લેવાની વાત કરતા દિલીપ પરીખએ પણ રાજ્યપાલને પોતાનું રાજીનામું આપીને વિધાનસભાને બરખાસ્ત કરી હતી તેમજ નવેસરથી વિધાનસભાની ચૂંટણી કરવાની માગણી કરી હતી. જેને પગલે ઇલેક્શન પણ જાહેર થયું હતું.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

ચૂંટણી જાહેર થયા છતાં તેઓ કેરટેકર મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. 4 માર્ચ 1998 સુધી તેઓ મુખ્યમંત્રી પદે રહ્યાં હતા. 1998ની ચુંટણીમાં દિલીપ પરીખ પોતે ધંધુકાની બેઠક પરથી ભાજપના ભરત પંડ્યા સામે 15000 મતની સરસાઇથી હારી ગયા હતા એટલું જ નહિ સમગ્ર ચૂંટણીમાં શંકરસિંહના પક્ષ રાજભાને માત્ર ચાર બેઠક મળી હતી જ્યારે ભાજપને 117 બેઠક સાથે પ્રજાએ સ્પષ્ટ બહુમતી આપી દીધી હતી.

ત્યારબાદ દિલીપ પરીખ રાજકારણથી દૂર થતા રહ્યા હતા. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં ગયા હતા પરંતુ દિલીપ પરીખે રાજકારણથી અંતર રાખી દીધું હતું. તેઓની છાપ એક સજ્જન અને ઉમદા વ્યક્તિ તરીકેની છે.

આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરાશે. તેમના નિધનથી ગુજરાતે એક સજ્જન રાજકારણી અને ગુમાવ્યા છે. ભાજપ અને કોંગ્રેસના જુદા જ જુદા નેતાઓએ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપી છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે તેમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના પણ કરી છે.

Tags :