અમરેલીમાં ભાજપના નેતાઓ VS પોલીસ: દારૂબંધી અને કાયદા-વ્યવસ્થા મુદ્દે આંતરિક ઘર્ષણ
Amreli News: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તેની અમલવારીને લઈને અવારનવાર સવાલો ઉઠતા રહે છે. ત્યારે અમરેલી જિલ્લામાં ખુદ ભાજપના જ નેતાઓએ પોલીસની કાર્યપદ્ધતિ અને દારૂબંધીના અમલ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દૂધાતે અમરેલીના લીલીયામાં કાયદા-વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે તેમણે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સામે મોરચો માંડ્યો હતો. બાદમાં સૌરાષ્ટ્રના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી અને પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પણ દૂધાતના આરોપોને સમર્થન આપી પોલીસની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા. પોલીસે પણ કેટલાક આરોપોનો વળતો જવાબ આપતા સમગ્ર મુદ્દે રાજકારણ ગરમાયું છે.
વિપુલ દૂધાતનો પોલીસ પર સીધો આરોપ
છેલ્લા થોડા દિવસથી પોલીસ અને રાજકારણીઓ વચ્ચેની શાબ્દિક ખેંચતાણ ચાલી રહી છે. જેમાં વિપુલ દૂધાતે કરેલા નિવેદન બાદ ગરમાવો આવ્યો હતો. તેમણે દાવો કર્યો છે કે અમરેલીમાં દારૂના ખુલ્લેઆમ અડ્ડા ચાલી રહ્યા છે અને જિલ્લા પોલીસ વડા ઉદ્ધતતાપૂર્વક વર્તન કરે છે. તેમણે પોતાના આરોપોને સમર્થન આપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. દૂધાતે દેશી દારૂના વેચાણનો એક વીડિયો વાઈરલ કર્યો હતો અને શાકમાર્કેટમાંથી મળી આવેલી ખાલી દારૂની બોટલોના ફોટા પણ શેર કર્યા હતા, જે પોલીસની નિષ્ફળતાનો પુરાવો હોવાનું તેમણે ગણાવ્યું હતું.
દિલીપ સંઘાણીનું વિપુલ દૂધાતના આરોપોને સમર્થન
વિપુલ દૂધાતના આરોપોને સૌરાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીએ ખુલ્લું સમર્થન આપ્યું હતું. તેમણે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત પર બુટલેગરો પાસેથી "મલાઈ ખાવા"નો સીધો અને ગંભીર આક્ષેપ કર્યો હતો. સંઘાણીએ સ્પષ્ટપણે કહ્યું કે, "વિપુલ દૂધાતના આક્ષેપો સાચા છે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પોલીસની રહેમનજર હેઠળ ચાલી રહી છે."
નારણ કાછડિયાના પોલીસ પર પ્રહાર
આ મુદ્દે ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પણ પોલીસ વડા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે પોલીસ વડાએ ભાજપના કાર્યાલયના સંચાલન માટે ફંડ ક્યાંથી આવે છે તેની તપાસ કરવાની વાત કહી હતી. કાછડિયાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "પાર્ટી કાર્યાલય ભાજપના કાર્યકર્તાઓ પોતાની જાતે ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતી કે દારૂના હપ્તા લઈને એશોઆરામ કરે છે. રેતી અને દારૂનો કોઈ ધંધો ચાલતો હોય અને તેમાં કોઈની એજન્સી હોય તો તે પોલીસની જ છે." તેમણે પોલીસ વડાને દારૂ પીનારાઓને રોકવાની જવાબદારી પોલીસની છે કે નહીં તેવો સીધો સવાલ પણ કર્યો હતો.
પોલીસનો ખુલાસો અને વળતો પ્રહાર
વિપૂલ દૂધાતના આક્ષેપો મામલે ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઈએ પોલીસનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વાઈરલ થયેલા વીડિયોના આધારે તપાસ કરીને કનુ વાઘેલા સામે દેશી દારૂનો કેસ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે વિપુલ દૂધાત પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, દૂધાત વારંવાર પોલીસની કામગીરીમાં ખોટી ભલામણો કરે છે, જેની નોંધ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવી છે.
રેતીનું ટ્રેક્ટર છોડાવવા ભાજપ આગેવાને ભલામણ કરી હતી- DySP
વિપૂલ દૂધાતે રેતીના ગેરકાયદેસર ધંધા અંગે કરેલી રજૂઆતનો પણ ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઈએ જવાબ આપ્યો હતો, તેમણે કહ્યું હતું કે, દૂધાતના ગામ લીલીયાના ક્રાકચ વિસ્તારમાં પોલીસે રેડ કરતા 25થી વધુ ડમ્પરોનો ગેરકાયદે રેતીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ અંગે ખાણખનીજ વિભાગને જાણ કરતા ખનીજ વિભાગ દ્વારા માપણી કરી દંડ વસૂલવાની કાર્યવાહી કરી હતી, તે સમયે રેતીના ગેરકાયદેસર ખનન અંગે રજૂઆત કરનાર ખૂદ વિપુલ દૂધાતે જ રેતી ભરેલું એક ટ્રેક્ટર છોડાવવા ભલામણ કરી હતી.
પોલીસ અને શાસક પક્ષના સંબંધોમાં તણાવ
સમગ્ર ઘટનાક્રમના કારણે અમરેલી જિલ્લામાં પોલિસ અને પોલિટિશ્યન વચ્ચેનો ગજગ્રાહ સપાટી પર આવી રહ્યો છે. જે ક્યાંકને ક્યાંક ભાજપની જ આંતરિક જૂથબંધીની સાથે પોલીસ અને શાસક પક્ષના સંબંધોમાં ચાલી રહેલા તણાવને સ્પષ્ટપણે ઉજાગર કરે છે. આ મામલે આગામી સમયમાં રાજકીય ગરમાવો હજુ વધશે તેવી શક્યતા ચર્ચાઈ રહી છે.