'અમારી માટે સાચી દિવાળી તો લાભપાંચમ પછી જ શરૂ થાય છે'

રાજકોટ ફાયર બ્રિગેડના ફાયરમેન કહે છે 13 વર્ષથી લઇ 29 વર્ષ સુધી પરિવાર સાથે દિવાળીની ઉજવણી નહીં કરી શકનાર ફાયરમેનને તેનો કોઇ રંજ નથી
રાજકોટ, : દિવાળીના તહેવારો જ્યાં લોકો પરિવાર સાથે હર્ષોલ્લાસથી મનાવતા હોય છે ત્યારે બીજી તરફ ઇમરજન્સી સર્વિસ સાથે સંકળાયેલા કર્મચારીઓને આવું સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી.
ફાયર બ્રિગેડનાં સ્ટાફ માટે દિવાળીની ઉજવણી કરવાનું તો એકતરફ રહ્યું, પરંતુ જાન જોખમમાં નાખી આગ બૂઝાવવાની કામગીરી કરવી પડે છે. રાજકોટ ફાયર બ્રિગેડમાં એવા ઘણા ફાયરમેન છે જેમણે છેલ્લા ઘણાં વર્ષોથી પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી નથી. આમ છતાં તેમને આ વાતનો કોઇ રંજ નથી.
ઘણી વખત તો દિવાળીની રાત્રે તેમને પાણી પીવાની ફૂરસદ પણ મળતી નથી. દિવાળી પર જ નહીં, બલ્કે મોટાભાગના તહેવારોમાં તેમણે ફરજ પર હાજર રહેવું પડે છે. ફાયરબ્રિગેડનાં હરેશભાઈ શિયાળ, દિગ્વિજયસિંહ જાડેજા અને કિરણ મારૂ જેવા બીજા ઘણાં બધા ફાયરમેનની પણ આ જ કહાની છે, જેમણે 13 વર્ષથી લઇ 27 વર્ષ સુધી પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી નથી.









