Get The App

રથયાત્રાના ખાડીયાના ઈતિહાસમાં પહેલીવાર બેકાબૂ બનેલા ત્રણ હાથીએ ખાડીયામાં ઉત્પાત મચાવતા પાંચ લોકો ઈજાગ્રસ્ત

બે નર અને એક માદા હાથીએ ચાર કલાક સુધી ખાડીયાને ઘમરોળ્યુ

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
રથયાત્રાના  ખાડીયાના ઈતિહાસમાં પહેલીવાર બેકાબૂ બનેલા ત્રણ હાથીએ ખાડીયામાં ઉત્પાત મચાવતા પાંચ લોકો ઈજાગ્રસ્ત 1 - image


અમદાવાદ,શુક્રવાર,27 જુન,2025

૧૪૮ વર્ષના ઈતિહાસમાં શુક્રવારે પહેલીવખત ખાડીયા ગેટ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા ત્રણ હાથી બેકાબૂ બનતા રથયાત્રા જોવા પહોંચેલા ભાવિક ભકતોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. ભારે ઘોંઘાટ સાથે વાગતા ડી.જે. અને સિસોટીઓના અવાજથી ભડકેલા હાથી બેરીકેડ તોડી સીધા ખાડીયા બાલાહનુમાન તરફ ધસી જતા લોકો જીવ બચાવવા દોડતા નજરે પડયા હતા. ભાગદોડના કારણે પડી જવાથી પાંચ લોકોને વત્તાઓછા અંશે ઈજા પહોંચી હતી. બપોરે બે કલાકના સુમારે આ હાથીઓને બાલાહનુમાનથી આગળના રસ્તે લઈ જવાતા હતા એ સમયે ત્રણ પૈકી એક હાથી કચરીયાપોળમાં અંદર ઘુસી જતા લોકો ઘર અને દુકાનમાં પુરાવા મજબૂર બન્યા હતા.બાલાહનુમાનથી હાથી આગળ વધતા નહીં હોવાથી એમને  ટવીન્કીલાઈઝર ગન દ્વારા ઈન્જેકશન અપાયા હતા. આ સમયે વધુ એક હાથી ઢીકવાચોકી ઢાળ વિસ્તારમાં ઉતરી જતા ત્યાં પણ લોકોમાં ભાગદોડ મચી હતી. છ કલાકની જહેમતના અંતે ત્રણે હાથીને રિવરફ્રન્ટના રસ્તે નીજ મંદિર પહોંચાડાયા હતા.ખાડીયાના ઈતિહાસમાં પહેલી વખત  રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના થતી અટકી હતી.

જગન્નાથ મંદિરથી પરંપરાગત રીતે નીકળેલી રથયાત્રા દરમિયાન સવારે ૧૦ કલાકના સુમારે હાથી ખાડીયાગેટ પાસેથી પસાર થઈ રહયા હતા. આ સમયે ખુબ મોટી સંખ્યામાં ઉમટી પડેલી લોકોની ભીડ અને ડી.જે.ના ઘોંઘાટને કારણે ૧૩ વર્ષનો એક નર હાથી સૌ પ્રથમ બેકાબૂ બની દોડવા લાગ્યો હતો. ખાડીયા ચાર રસ્તા તરફ ભાગી રહેલા આ હાથીને મહાવત સહિતના લોકોએ અંકુશમાં લેવા પ્રયાસ કરતા હાથી ખાડીયાગેટથી  બાલાહનુમાન તરફના રસ્તા ઉપર લગાવેલા બેરીકેડ તોડી અંદરના રસ્તે ઘૂસ્યો હતો. આ જોઈ એક નર અને એક માદા હાથી પણ તેની પાછળ દોડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. એ જોજો એ સાચવજો અને એ દોડોની બૂમ મારી આસપાસના ધાબા ઉપર રથયાત્રા જોવા ઉભેલા લોકોએ બૂમો મારતા લોકો રીતસરના ભાગ્યા હતા. આ સમયે રથયાત્રામાં જોડાયેલા મહાવતો, વન વિભાગની ટીમ અને ઝૂ વિભાગની ટીમે  બેકાબૂ બનેલા આ ત્રણ હાથીને અમૃતલાલની પોળ સામે આવેલા હાટકેશ્વર મહાદેવ પાસે દોરડાની મદદથી બાંધી દીધા હતા. બાકીની રથયાત્રાને આગળના રસ્તે ધપાવવામાં આવી હતી.

જે પછી બપોરના બે કલાકના સુમારે હાટકેશ્વર મહાદેવ પાસે બાંધી રાખવામા આવેલા આ ત્રણ હાથીઓને પરત લઈ જવાની કવાયત શરુ કરવામાં આવી હતી.બાલાહનુમાન સુધીનો સમગ્ર રસ્તો બ્લોક કરી દઈ લોકોને બહાર નહી નીકળવા અપીલ કરાઈ હતી. દરમિયાન ત્રણ પૈકીનો એક નર હાથી બાલાહનુમાન પાસે આવેલી કચરીયાપોળમાં ઘુસી જતા લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. એક કલાક  પછી આ પોળમાંથી હાથીને બહાર કાઢવામા સફળતા મળી હતી. આ સમયે એક હાથી બાલાહનુમાનથી આગળ વધતો જ નહોતો. જયારે અન્ય એક હાથી ઢીંકવાચોકીના ઢાળના રસ્તા ઉપર ઉતરી જતા બોલાવવામા આવેલા મહાવતોએ આ હાથીને કાબૂમાં લેવાની ફરજ પડી હતી.સાંજે ૪.૩૦ કલાકે બાલાહનુમાન વિસ્તારમાંથી ત્રણે હાથીને કાબૂમા લઈ રિવરફ્રન્ટના રસ્તે થઈ નીજ મંદિર પહોંચાડાતા ખાડિયાના રહીશોએ હાંશકારો અનુભવ્યો હતો.

ડી.જે. સાઉન્ડ ,લાઉડ સ્પીકરના કારણે હાથી બેકાબૂ બન્યા,ડોકટર શાહૂ

કાંકરિયા ઝૂના વિશેષ માર્ગદર્શક ડોકટર આર.કે.શાહૂ ઘણાં વર્ષોથી રથયાત્રા નીજ મંદિરથી નીકળે અને પરત પહોંચે ત્યાં સુધી હાથીઓ સાથે પગપાળા ચાલી સાથે રહેતા હોય છે. ખાડીયા વિસ્તારમાં ડી.જે.સાઉન્ડ અને લાઉડ સ્પીકરના  અવાજનાકારણે જ હાથી બેકાબૂ થયા હોવાનુ તેમનુ કહેવુ છે.

વર્ષો પહેલા સરસપુર વિસ્તારમાં હાથી બેકાબૂ બન્યો હતો

આજથી એક દાયકા પહેલા રથયાત્રા સરસપુર વિસ્તારમાંથી નીકળી રહી હતી તે સમયે આ પ્રકારે એક હાથી બેકાબૂ બન્યો હતો. રથયાત્રા સમયે જે પ્રમાણે મોટા અવાજથી વ્હીસલ મારવામા આવે છે તેનો અવાજ હાથીના કાન સુધી પહોંચી તેને ગંભીર અસર કરતો હોવાનુ માનવામા આવી રહયુ છે.

Tags :