Food Poisoning in Ahmedabad: અમદાવાદના કોટ વિસ્તાર ગણાતા જમાલપુરમાં લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સામાજિક પ્રસંગના જમણવાર બાદ અંદાજે 30થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા છીપાવાડની ગફુરજીની ગલીમાં ગઈકાલે શુક્રવારે એક પરિવાર દ્વારા નવા ઘરમાં પ્રવેશના પ્રસંગને લઇને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભોજન સમારંભમાં અન્ય વાનગીઓની સાથે 'ગાજરનો હલવો' પણ પીરસવામાં આવ્યો હતો. જમણવાર પત્યા બાદ મોડી રાત્રે અચાનક કેટલાક મહેમાનોને પેટમાં દુખાવો, ઉલટી અને ગભરામણ જેવી ફરિયાદો શરૂ થઈ હતી.
ગાજરનો હલવો ખાધા બાદ એક પછી એક એમ કુલ 30થી વધુ લોકોની તબિયત લથડી હતી. સ્થિતિ વણસતા તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ અન્ય લોકોની તબિયત સુધારા પર છે. જ્યારે એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


