Get The App

વડોદરામાં ખાણીપીણીના ધંધાર્થીઓએ ખાદ્ય ચીજ બનાવવા કયું તેલ, ઘી કે બટર વાપર્યુ છે તે દર્શાવવું પડશે

Updated: Jun 19th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં ખાણીપીણીના ધંધાર્થીઓએ ખાદ્ય ચીજ બનાવવા કયું તેલ, ઘી કે બટર વાપર્યુ છે તે દર્શાવવું પડશે 1 - image


Vadodara Food Safety : વડોદરા શહેરમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ખાદ્ય ચીજ બનાવવામા ક્યું તેલ, પનીર, બટર, ચીઝ વગેરે વાપર્યું છે તે ગ્રાહકો સ્પષ્ટ  વાંચી શકે તે રીતે પોતાને ત્યાં લખીને મૂકવું પડશે. જો નહીં મૂકે તો દુકાનદારની સામે ફૂડ સેફટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફટી ઓફિસરોની ટીમો દ્વારા શહેરમાં હોટેલો, રેસ્ટોરન્ટ, ઢાબા, ભોજનાલય, ખાણીપીણીની લારીઓ, નાસ્તાની દુકાનો, ફરસાણની દુકાનો વગેરે સ્થળે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ દુકાનદારો અને વેપારીઓ આ નિયમનું પાલન કરે છે કે નહીં તેનું ચેકિંગ કરશે. જો વેપારીએ બોર્ડ નહીં મૂક્યું હોય તો તેને સમજાવીને પંદર દિવસનો સમય આપવામાં આવશે. આમ છતાં પણ તે નહીં માને તો તેની સામે કાર્યવાહી થશે, તેમ કોર્પોરેશનના અધિક આરોગ્ય અમલદાર અને ડેઝિગ્નેટેડ ઓફિસર ડો.મુકેશ વૈદ્યે જણાવ્યું હતું. લોકો ખાવા પીવાની વસ્તુઓ કયા તેલમાંથી બનાવી છે તે જાણી શકશે. જેમકે પનીર બટર મસાલા, બટર પાવભાજી વગેરેમાં પનીર કે બટર જ વાપર્યું છે તે દર્શાવવું પડશે. ચીઝની કોઈ આઈટમ હોય તો તેમાં ચીઝનું પણ દર્શાવવું પડશે. ફરસાણ સિંગતેલ, પામોલીન, કપાસીયા વગેરે કયા તેલમાંથી બનાવ્યું છે તે બોર્ડ ઉપર લખવું પડશે. સેન્ડવીચ, પાવભાજી, વડાપાંવ, રોટી વગેરે ઉપર લગાડવામાં આવતા ઘી, બટર, ટેબલ માર્ગેરીન, ફેટ સ્પ્રેડમાંથી કયું વાપર્યું છે તે પણ દર્શાવવું પડશે. ખોરાક શાખા દ્વારા કઈ રીતે આ લખવું તેનું ફોર્મેટ પણ દુકાનદારો અને ધંધાર્થીઓને આપ્યું છે. બોર્ડમાં લખ્યા મુજબની વસ્તુ વાપરી છે કે કેમ તેના પણ નમૂના લઇ ચેકિંગ કરાશે.

Tags :