Get The App

સિહોરની મુખ્ય બજારમાં ગટરના વહેતા ગંગા પાણી : ન.પા. તંત્રનું કાયમી મૌન

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
સિહોરની મુખ્ય બજારમાં ગટરના વહેતા ગંગા પાણી : ન.પા. તંત્રનું કાયમી મૌન 1 - image


- 40 વર્ષ જૂની લાઈનના કારણે રોજબરોજ ગટર ઉભરાવવાની સમસ્યા

- મુખ્ય બજારમાં દોઢ અને ખાંચા-ગલીઓમાં એક ફૂટના ગટરના ભુંગળા નાંખવા માંગ

સિહોર : સિહોરની મુખ્ય બજારમાં ગટરના પાણી કાયમી વહેતા હોવા છતાં નગરપાલિકા તંત્ર મૌન સેવીને બેઠું છે. આ પ્રશ્ન ઘણાં લાંબા સમયથી છે તેમ છતાં શાસકો કે ન.પા. તંત્ર તેનો ઉકેલ લાવવામાં કોઈ રસ દાખવતું ન હોવાથી લોકોમાં ભારે રોષની લાગણી પ્રસરી છે.

સિહોરમાં વડલાવાળી ખોડિયાર ચોકથી મોટાચોક સુધીની મુખ્ય બજારમાં જવેલર્સ, રેડીમેડ ગારમેન્ટ, કટલેરી, દાણાપીઠ, સરકારી-ખાનગી દવાખાનાઓ, મેડીકલ સ્ટોર્સ, તથા બે શાકમાર્કેટ આવેલી છે. અહીં સિહોર ઉપરાંત તાલુકાના ૮૨ ગામના લોકો દરરોજ હટાણું કરવા મોટી સંખ્યામાં આવતા હોવાથી સવારથી સાંજ સુધી બજાર ધમધમતી રહે છે.પરંતુ મુખ્ય બજાર હોવા છતાં એક પણ દિવસ એવો નથી જતો કે ક્યાંક ને ક્યાંક ગટર ન ઉભરાઈ હોય, ગટર ઉભરાવવાના કારણે તેના ગંદા પાણી આખી બજારમાં ફરી વળે છે. જેમાંથી લોકોને ફરજીયાત પસાર થવું પડે છે. એટલું જ નહીં પરંતુ વાહનચાલકો પણ બેફામ થઈ વાહનો હંકારતા હોવાથી ગટરના ગંદા પાણી રાહદારીઓ ઉપર ઉડવાથી તેમના કપડાં ગંદા થાય છે. મુખ્ય બજારમાં ૪૦ વર્ષ પહેલા ૬ ઈંચ ડાયામીટરની ભુગર્ભ ગટર લાઈન છે, વસતી અને વિસ્તારમાં વધારો થવા છતાં તેમાં કોઈ ફેરફાર થયો ન હોવાના કારણે આ સમસ્યા કાયમી બની છે.

જીયુડી હસ્તક ૨૪ કરોડના ખર્ચે ગટર પ્રોજેક્ટનું કામ શરૂ કરાયું છે, તેમાં નિયમ વિરૂદ્ધ ખાનગી સોસાયટીઓનો સમાવેશ કરાયો હોય, તેના બદલે અતિ આવશ્યક છે તેવા મુખ્ય બજાર અને અન્ય વિસ્તારોમાં ગટર લાઈનના અપગ્રેશનનું કામ કરવામાં આવે. ખાસ કરીને સિહોરની મુખ્ય બજારમાં દોઢ ફૂટ અને ખાંચા-ગલીઓમાં એક ફૂટના ગટરના ભુંગળા નાંખવામાં આવે તો ગટર ઉભરાવવાની કાયમી સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે.

Tags :