Gujarat

VIDEO | વાવ-થરાદ: પૂરના 8 મહિના બાદ પણ લેડાઉ ગામ જળમગ્ન, અન્યાયનો જવાબ ચૂંટણીમાં આપવાની ગ્રામજનોની ચીમકી

By GS TEAM
8 Apr 20262 mins read
TukuTouch Logo
વાવ-થરાદ પંથકમાં આવેલા લેડાઉ ગામમાં કુદરતી આફત બાદ સર્જાયેલી સમસ્યાના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. આઠ મહિના અગાઉ આવેલા પૂરના પાણી હજુ પણ ગામના પાદરે અને મુખ્ય રસ્તાઓ પર ભરાયેલા હોવાથી ગ્રામજનો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. જેમાં તંત્રની ઘોર બેદરકારી સામે હવે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | વાવ-થરાદ:  પૂરના 8 મહિના બાદ પણ લેડાઉ ગામ જળમગ્ન, અન્યાયનો જવાબ ચૂંટણીમાં આપવાની ગ્રામજનોની ચીમકી

Vav-Tharad News : વાવ-થરાદ પંથકમાં આવેલા લેડાઉ ગામમાં કુદરતી આફત બાદ સર્જાયેલી સમસ્યાના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. આઠ મહિના અગાઉ આવેલા પૂરના પાણી હજુ પણ ગામના પાદરે અને મુખ્ય રસ્તાઓ પર ભરાયેલા હોવાથી ગ્રામજનો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. જેમાં તંત્રની ઘોર બેદરકારી સામે હવે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે.

ખેતરો અને પાડોશી ગામોના રસ્તા બંધ

લેડાઉ ગામના વરિષ્ઠ નાગરિકો અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પૂર આવ્યું ત્યારથી અત્યાર સુધી ગામના ગુંદરે તળાવો અને સીમમાં જવાના રસ્તાઓ પાણીમાં ડૂબેલા છે. ખેતરમાં જવા માટે કે આજુબાજુના ગામોમાં પહોંચવા માટેનો મુખ્ય માર્ગ બંધ થઈ જતાં ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે. આઠ-આઠ મહિના વીતી ગયા હોવા છતાં પાણીના નિકાલ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. 

સરકાર નિષ્ફળ જતાં ગ્રામજનોએ સ્વખર્ચે બનાવ્યો રસ્તો

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, સરકાર અને વહીવટી તંત્ર આ ગંભીર પ્રશ્ને સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. અંતે થાકીને ગામના લોકોએ એકઠા થઈ ફાળો ઉઘરાવી અને પોતાની જમીનો ગીરે મૂકીને પણ લાખો રૂપિયાના ખર્ચે ટ્રોલીઓ ઠાલવી રસ્તો બનાવવાની ફરજ પડી છે. લોકશાહીમાં જ્યારે જનતાએ પોતાના ખર્ચે પાયાની સુવિધાઓ ઊભી કરવી પડતી હોય ત્યારે તંત્રની ભૂમિકા સામે મોટા સવાલો ઊભા થયા છે

રાજકીય નેતાઓ સામે આક્રોશ

પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને અન્ય સ્થાનિક આગેવાનોએ પણ આ મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે ખોટા વાયદા આપનારા રાજકારણીઓ અત્યારે પ્રજાની પીડા જોવા તૈયાર નથી. જ્યારે ભાજપના શાસનમાં વિકાસની વાતો થાય છે, ત્યારે લેડાઉ ગામના લોકો આજે પણ પાણીમાં ચાલીને અવરજવર કરવા મજબૂર છે, અગાઉ મંજૂર થયેલા રસ્તાઓ પણ રાજકીય કિન્નાખોરી રાખીને રદ કરવામાં આવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે

આ પણ વાંચો: વાવમાં ચૂંટણી બહિષ્કારનું રણશિંગુ: 22 ગામોના ખેડૂતોની 'પાણી નહીં તો વોટ નહીં'ની કડક ચીમકી

ચોમાસા પહેલા ઉકેલની માગ

ગ્રામજનોએ આપવીતી વ્યક્ત કરતાં જણાવ્યું કે, જો અત્યારે ભરાયેલા પાણીનો નિકાલ નહીં થાય તો આગામી વરસાદમાં આખું ગામ બેટમાં ફેરવાઈ જવાની ભીતિ છે. હાલાકી ભોગવી રહેલા લેડાઉના ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો વહેલી તકે કાયમી રસ્તો અને પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આ અન્યાયનો જવાબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વોટિંગ દ્વારા આપવામાં આવશે.