Get The App

મહી, વાત્રક અને સાબરમતીમાં પૂરની સ્થિતિ : ખેડામાં 1500 લોકોનું સ્થળાંતર

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
મહી, વાત્રક અને સાબરમતીમાં પૂરની સ્થિતિ : ખેડામાં 1500 લોકોનું સ્થળાંતર 1 - image


- ધરોઈ ડેમ, વાસણા બેરેજ અને સંત સરોવરમાંથી પાણી છોડાયું

- ખેડા જિલ્લાની શાળાઓમાં આજે રજા જાહેર : ખેડા અને આણંદના 21 ગામ અસરગ્રસ્ત શેલ્ટર હોમ્સ ઉભા કરવા સૂચના : આરોગ્ય સહિતના વિભાગોને હાજર રહેવા આદેશ

નડિયાદ : ઉપરવારમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમ, વાસણા અને સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી અને વાત્રક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ખેડા જિલ્લાના રસિકપુરા અને પથાપુરા ગામના ૧૫૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે. વહીવટી તંત્રએ જિલ્લામાં શેલ્ટર હોમ્સ તૈયાર રાખવાની સૂચના પણ આપી દીધી છે. વ્હાઈટ સિગ્નલના પગલે ખેડા જિલ્લાના ૮ અને આણંદના ૧૩ ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે. 

સાબરમતી નદીના ઉપરવાસમાં આવેલા ધરોઈ ડેમમાંથી ૯૪,૨૪૦ ક્યુસેક પાણી અને સંત સરોવરમાંથી ૯૬,૬૨૫ ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે. પાણી વાસણા બેરેજ સુધી પહોંચતા ધરોઈ ડેમના પાણીને આશરે ૧૧થી ૧૨ કલાક અને સંત સરોવરના પાણીને ૧ કલાક જેટલો સમય લાગશે. હાલમાં, વાસણા બેરેજમાંથી હેઠવાસમાં ૪૭,૫૯૦ ક્યુસેક પાણી છોડવા ૨૭ ગેટ ખોલવામાં આવ્યા છે. વ્હાઈટ સિગ્નલની સ્થિતિના પગલે ખેડા જિલ્લાના ૮ અને આણંદના ખંભાતના એક મળી ૯ ગામોને એલર્ટ કરાયા છે. આ સંદર્ભમાં, સંબંધિત સત્તાધિકારીઓને સાવધ રહેવા અને સલામતીના યોગ્ય પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે.

સાબરમતી નદીમાં પાણી છોડવાના કારણે આણંદ જિલ્લાના ખંભાત બે અને તારાપુરના ૧૧ અસરગ્રસ્ત ગામોને સાવચેત કરાયા છે. મહી નદીના પાણી આંકલાવના ઉમેટા અને ખડોલ ગામમાં ઘૂસી ગયા હતા. મહીસાગર માતાનું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. 

ખેડા જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પાણીની આવક વધતા સાબરમતી નદીમાં ૩.૫૦ લાખ ક્યુસેક પાણીની આવક થતા જળસ્તરમાં વધારો થયો છે. પરિણામે ખેડા તાલુકાના રસિકપુરા અને પથાપુરા ગામના લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. આવ્યા છે. 

જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા રાત્રે જ ૧૫૦૦ નાગરિકોને ત્રણ બસો દ્વારા હરિયાળા ગામના ગુરુકુળમાં સ્થળાંતરિત કરાયા છે. સ્થળ પર તંત્રએ રહેવા- જમવાની વ્યવસ્થા કરી હતી. હવામાન વિભાગ દ્વારા ૮મી સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે, તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. 

માતર તાલુકાના નદીકાંઠાના ગામો બરોડા અને પાલ્લાની જિલ્લા કલેક્ટર સહિતના વહીવટી તંત્રએ મુલાકાત લીધી હતી. દરમિયાન પૂરની સંભાવનાવાળા વિસ્તારોની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ અપાઈ હતી. ગ્રામજનોને સલામત સ્થળોએ ખસેડવા માટે શાળાઓમાં આશ્રયસ્થાનો (શેલ્ટર હોમ્સ) તૈયાર રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. આરોગ્ય, પોલીસ, વીજળી, પાણી પુરવઠા, અને રસ્તા સહિતના તમામ વિભાગોને તાત્કાલિક કામગીરી માટે એલર્ટ રહેવા આદેશ કરાયો છે.

જિલ્લા વહીવટી તંત્રએ ખેડા અને માતર તાલુકાના નદીકાંઠાના નાગરિકો નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહી સૂચનાઓનું પાલન કરવા અને સ્થળાંતર કરવામાં સહયોગ આપવા વિનંતી કરી છે. અફવાઓ પર ધ્યાન ન આપી કટોકટીની પરિસ્થિતિમાં મદદ માટે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા પણ જણાવાયું છે. 

ખેડા જિલ્લામાં વરસાદની સ્થિતિ

તાલુકો

વરસાદ

કુલ વરસાદ

 

(મી.મિ.)

(મી.મિ.)

કપડવંજ

૪૧

૧૦૯૭

નડિયાદ

૩૩

૧૭૨૭

મહેમદાવાદ

૩૦

૯૧૩

કઠલાલ

૩૪

૧૦૧૫

ખેડા

૧૩

૬૦૫

માતર

૨૦

૯૧૪

મહુધા

૧૫

૧૧૧૩

ઠાસરા

૦૧

૫૨૬

ગળતેશ્વર

૧૪

૭૪૧

વસો

૧૭

૧૦૦૮

કુલ સરેરાશે

 

૯૬૫.૯

વિવિધ ડેમોની વર્તમાન સ્થિતિ 

કડાણા ડેમ

જળસપાટીઃ ૧૨૬.૮૭ મીટર

ઇનફ્લોઃ ૧૭૩૫૪૫ ક્યુસેક

આઉટફ્લોઃ ૧૪૭૭૬૮ ક્યુસેક

પાનમ ડેમ

જળસપાટીઃ ૧૨૭.૧૫ મીટર

ઇનફ્લોઃ ૪૮૯૦૮ ક્યુસેક

આઉટફ્લોઃ ૫૦૫૦૮ ક્યુસેક

વણાકબોરી વિયર

જળસપાટીઃ ૭૧.૫૫ મીટર

ઇનફ્લોઃ ૨૪૬૭૨૪ ક્યુસેક

આઉટફ્લોઃ ૨૪૬૦૨૪ ક્યુસેક

વાસણા બેરેજ

જળસપાટીઃ ૧૩૧.૦૦ ફૂટ

ઇનફ્લોઃ ૧૦૬૮૩૦ ક્યુસેક 

આઉટફ્લોઃ ૯૩૬૫૮ ક્યુસેક

ધરોઈ ડેમ 

જળસપાટીઃ ૧૮૭.૭૯૦ મીટર 

ઇનફ્લોઃ ૬૨૯૮૦ ક્યુસેક

આઉટફ્લોઃ ૩૫૨૦૨ ક્યુસેક


Tags :