અમદાવાદ, ખેડા અને આણંદ માટે પૂરનું એલર્ટ: સાબરમતી કાંઠા વિસ્તારોને સતર્ક રહેવા સૂચના
Sabarmati Flood Alert: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને નદી કિનારે ન જવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સાબરમતી નદીના કાંઠા વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે નદીમાં પાણીની ભારે આવક થઈ છે, જેને કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વૌઠા અને પાલ્લા નજીક પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
વૌઠા-પાલ્લા નજીક પૂર જેવી સ્થિતિ
પ્રાપ્ત માહિતી અનુસાર, વૌઠા અને પાલ્લા નજીકના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નદીમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે.
સંત સરોવરમાંથી 10,400 ક્યૂસેક પાણી છોડાયું
સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં સંત સરોવરમાંથી 10,400 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. આ કારણે સાબરમતી નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.
સાબરમતીની સપાટી 125.75 ફૂટે પહોંચી, વાસણા બેરેજના 3 ગેટ ખોલાયા
સાબરમતી નદીની હાલની સપાટી 125.75 ફૂટે પહોંચી ગઈ છે. નદીમાં પાણીનો પ્રવાહ જાળવી રાખવા અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ ઘટાડવા માટે વાસણા બેરેજના 3 ગેટ 2-2 ફૂટ ખોલવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નદીમાં પાણીનો પ્રવાહ હજુ પણ વધવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર પડ્યે સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. માછીમારો અને નદી કિનારે પ્રવૃત્તિ કરતા લોકોને પણ હાલ પૂરતું નદીમાં ન જવા અપીલ કરવામાં આવી છે. લોકોએ કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવા અને માત્ર સત્તાવાર જાહેરાતો પર જ ભરોસો રાખવા વિનંતી કરવામાં આવી છે.