લેઉવા પટેલ સમાજના યુવાનના અંગદાનથી પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું
Updated: Jun 9th, 2023
- સિંગણપોર રહેતા અને બ્રેઇનડેડ જાહેર કરાયેલા જૈનીશ ગુજરાતીના કિડની, લીવર, ચક્ષુઓનું પરિવારે દાન કર્યું
સુરત :
લેઉવા પટેલ સમાજના સિંગાપોરના યુવાનો બ્રેઈન ડેડ જેનીશ યુવાનની કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.
મૂળ ભાવનગર જીલ્લામાં ગારીયાધાર તાલુકાના માંડવી ગામના વતની અને હાલ સિંગણપોરના કોઝવે રોડ આદર્શ સોસાયટીમાં રહેતો ૨૬ વર્ષીય જૈનીશ વલ્લભભાઈ ગુજરાતી કતારગામમાં ડાયમંડની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. ગત તા.૭મી સવારે તે ફરજ ઉપર ગયો હતો. દરમિયાન સાથી કર્મચારીને નાસ્તો કરીને આવું છું કહીને નીકળ્યા બાદ પરત આવ્યો નહોતો. તેના મોબાઇલ પર કોલ કરતા અજાણ્યા વ્યક્તિએ જવાબ આપ્યો હતો કે, જે ભાઇનો આ ફોન છે તેમણે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યું છે. સ્થાનિક માછીમારો અને લાશ્કરોએ જૈનીશને બહાર કાઢી સ્મીમેરમાં ખસેડયો હતો. તેને બ્રેઇન હેમરેજનું નિદાન થયું હતું. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પણ ગુરુવારે ન્યુરોસર્જન, ન્યુરોફીજીશિયન સહિતના ડોક્ટરો જેનીશને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.
આ અંગે ડોનેટ લાઈફ ની ટીમને જાણ થતા હોસ્પિટલ પહોંચી જેનીશના પરિવારને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવતા તેઓ સંમત થયા હતા. જૈનીશની દાનમાં મેળેલી એક કિડનીનું અમદાવાદમાં રહેતી ૩૭ વર્ષીય યુવતીમાં, બીજી કિડનીનું સુરતના રહેતા ૩૨ વર્ષીય યુવકમાં તથા લિવરનું નવસારીના રહેતા ૩૯ વર્ષીય વ્યક્તિમાં સુરતની ખાનગી હિસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. જયારે દાનમાં મળેલી ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલમાં બે જરૃરિયાતમંદ દર્દીમાં કરવામાં આવશે. જયારે જૈનીશના પરિવારમાં તેના પિતા વલ્લભભાઈ હીરાની કંપનીમા રત્નકલાકાર તરીકે ફરજ બજાવે છે. જયારે તેમની માતા ભાવનાબેન, બહેન જીનલ અને શીતલ જેઓ પરણિત છે. તેનો ભાઈ નિખિલ ઓસ્ટ્રેલિયામાં કામ કરી રહ્યો છે.