Get The App

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની સટાસટી ગઈકાલે બપોરે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની સટાસટી ગઈકાલે બપોરે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો 1 - image

Jamnagar Rain Update : જામનગર જિલ્લામાં મેઘરાજાની અવિરત મેઘ સવારી ચાલુ રહી છે, જેમાં ખાસ કરીને ગઈકાલે કાલાવડ પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી અને બપોરે 12.00 વાગ્યાથી 2.00 વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ચોમેર પાણી ફરી વળ્યા હતા. અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા હતા. 

ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે ધમાકેદાર વરસાદ પડ્યો હતો. આજે સવારે 8.00 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન 125 મી.મી. વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ધ્રોલમાં 13 મી.મી., જ્યારે લાલપુરમાં 14 મી.મી. વરસાદ નોંધાયો હતો.

જામનગર શહેરમાં પણ ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન છુટા છવાયા વરસાદી ઝાપટાં વરસ્યા હતા, અને કુલ આઠ મી.મી. વરસાદ નોંધાયો છે, જયારે જોડિયામાં 9 મી.મી., તેમજ જામજોધપુરમાં 3 મી.મી. વરસાદ નોંધાયો છે.

ગઈકાલના વરસાદને લીધે જામનગર શહેરને પાણી પૂરું પાડતો સસોઈ ડેમ ઓવરફ્લો થઈ જતાં નગરજનો ખુશખુશાલ બન્યા છે, તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવતું હોવાથી તે વિસ્તારના ખેડૂતો પણ આનંદિત થયા છે. આ ઉપરાંત અન્ય કેટલાક જળાશયોમાં પણ પાણીની આવક અવિરત ચાલુ રહી છે.

ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં છેલ્લા 24 કલાક દરમિયાન 60 મી.મી. વરસાદ નોંધાયો હતો. ઉપરાંત નવા ગામમાં 30 મી.મી, મોટા પાંચ દેવડામાં 36 મીમી વરસાદ નોંધાયો છે.

તે જ રીતે જામજોધપુરના સમાણામાં 23 મી.મી., વાંસજાળીયામાં 40 મી.મી., ધૂંનડામાં 24 મી.મી., લાલપુરના હરીપરમાં 20 મી.મી., જ્યારે માણપુરમાં 15 મી.મી. વરસાદ નોંધાયો છે.