Anjar News : કચ્છના અંજારમાં ન્હાવા માટે ગયેલા પાંચ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાનુ સામે આવ્યુ છે. સમગ્ર ઘટના અંગે જાણ થતાંની સાથે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. જેમાં તરવૈયાની મદદથી ચાર બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી.
પાંચ બાળકો ભેંસો લેવા ગયા અને તળાવમાં ડૂબ્યાં
મળતી માહિતી મુજબ, કચ્છના અંજાર તાલુકાના ભવાનીપર નજીક આવેલા તળામાં આજે શનિવાર (15 માર્ચ, 2025)ના બપોરના સમયે હિંગોળજા વાંઢના પાંચ બાળકો ભેંસો લેવા માટે ગયા ત્યારે તળાવમાં ન્હાવા ગયા હતા. જ્યારે સાંજ સુધીમાં બાળકો ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. જેમાં તળાવમાં તપાસ કર્યા બાદ પરિવારે સ્થાનિક તંત્રને ઘટના અંગે જાણ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતના મધ્યમ વર્ગ માટે મોટા સમાચાર, RTEમાં બાળકોના પ્રવેશ માટે આવક મર્યાદા 6 લાખ કરાઈ
ચાર બાળકોના મૃતદેહ બહાર કાઢ્યાં
સમગ્ર ઘટના અંગે જાણ થતાંની સાથે અંજાર વહીવટીતંત્રના અધિકારીઓ 108 એમ્બ્યુલન્સ, દુધઈ પોલીસ સહિત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમે તરવૈયાની મદદથી ચાર બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક બાળકની શોધખોળ શરૂ છે. સમગ્ર ઘટનામાં 5થી 13 વર્ષના બાળકો હોવાનું સામે આવ્યું છે.
મૃતકોની યાદી
1. ઈસ્માઈલ સાલેમામદ હિંગોરજા (ઉં.વ. 8)
2. આલ્ફાક અરમીયા હિંગોરજા (ઉં.વ. 9)
3. ઉંમર અબદરેમાન હિંગોરજા (ઉં.વ. 11)
4. મુસ્તાક જુસબ હિંગોરજા (ઉં.વ. 14)
5. તહીંર અબદરેમાન હિંગોરજા (ઉં.વ. 11) શોધખોળ શરૂ છે.


