ગુજરાતમાં પણ કોરોનાએ ફરી માથું ઊંચક્યું, રાજકોટમાં 5 તો જૂનાગઢમાં પણ 1 દર્દી પોઝિટિવ
Corona Updates From Gujarat : 2021માં દેશભરમાં મોતનું માતમ સર્જનાર કોરોના મહામારીને બાદમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ પૂર્ણ થયેલી જાહેર કરી છે અને લગભગ તમામ લોકોએ કોરોના વિરોધી રસી પણ લઈ લીધી છે. તાજેતરમાં અમેરિકા સહિત અનેક દેશોની સાથે ભારતમાં પણ કેસો આંશિક રીતે વધી રહ્યા છે જામનગરમાં સઘન કાર્યવાહીના પગલે 10 એક્ટિવ કેસો છે. રાજકોટમાં ગઈકાલે વધુ એક સહિત સપ્તાહમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે જુનાગઢમાં પણ એક પોઝિટિવ કેસ જાહેર થયો છે.
રાજકોટમાં તા.19ના વિદેશથી આવેલા યુવાનને કોરોના પોઝિટિવ બાદ તે ડિસ્ચાર્જ થયેલ છે જ્યારે તા.૨૩ના શીવપાર્કમાં 39 વર્ષની મહિલાને, તા.૨૪ના ગોવિંદનગરમાં 74 વર્ષના વૃધ્ધ તથા સીલ્વરલાઈન સોસાયટીમાં ૫૨ વર્ષના પ્રૌઢને અને ગઈકાલે શિવાજીપાર્કમાં 28 વર્ષની મહિલાને એમ કોરોનાના પાંચ કેસો નોંધાયા છે અને ૪ કેસો એક્ટીવ છે. જો કે હજુ મનપા દ્વારા આ અંગે કરેલી કામગીરીની સત્તાવાર વિગતો જારી કરાઈ નથી.
આજે જુનાગઢમાં ઝાંજરડા રોડ પર રહેતા 60 વર્ષના એક વૃધ્ધને લક્ષણો જણાતા આરટી-પીસીઆર ટેસ્ટ કરાતા કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને ફેલાતો અટકાવવા જરૂરી કાર્યવાહી કરાઈ હતી.
જામનગરમાં કેસો આવવા સાથે આજે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા કોવિડની પ્રવર્તમાન સ્થિતિ, સંક્રમણ દર, વગેરેની સમીક્ષા બેઠક યોજી હતી અને હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ, ટેસ્ટ કીટ, ઓક્સીજન વગેરે જરૂરી સુવિધાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી હતી. તંત્ર દ્વારા લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવા જણાવાયું છે. જ્યારે રાજકોટ મનપા દ્વારા પણ મેડીકલ ઓફિસરોની આ અંગે બેઠક યોજીને સૂચનાઓ અપાઈ હતી. સિવિલ હોસ્પિટલ પણ કેસો માટે સજ્જ છે, આઈસોલેશન વોર્ડ તૈયાર કરી દેવાયો છે.
પરંતુ, રાજકોટ જિલ્લાની સ્થિતિ અંગે આજે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા કોઈ વિગતો જારી થઈ નથી. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસો છે કે કેમ, કેટલા નવા નોંધાયા છે, આરોગ્ય તંત્રની તૈયારી વગેરે અંગે જિલ્લા તંત્ર દ્વારા સમીક્ષા જરૂરી મનાય છે ત્યારે આ અંગે જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું કે સ્થિતિ પર નજર છે અને સ્થિતિ મૂજબ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
જો કે કોરોનાથી એક પણ દર્દીને હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ થવું પડયું હોય તેવો એક પણ કેસ નોંધાયેલ નથી કે જાહેર થયો નથી. આ તમામ કેસોમાં સામાન્ય સિમ્પટમ્મસ જણાયા છે. આમ છતાં જનસ્વાસ્થ્યના સર્વસાધારણ નિયમ મૂજબ કોઈ પણ રોગચાળો આવે તે પહેલા જ તેને ડામવાના પ્રયાસો જરૂરી છે.