Get The App

આજથી યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશનો પહેલો રાઉન્ડ, વિદ્યાર્થીઓને મેસેજ મોકલી જાણ કરાશે

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
આજથી યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશનો પહેલો રાઉન્ડ, વિદ્યાર્થીઓને મેસેજ મોકલી જાણ કરાશે 1 - image

વડોદરાઃ ધો.૧૨ પછી રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓના અનુસ્નાતક કોર્સમાં પહેલા રાઉન્ડમાં પ્રવેશ આપવાની કાર્યવાહી તા.૨૯ મેથી શરુ થશે ત્યારે એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ યુનિવર્સિટીની વેબસાઈટ પર  પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી જાહેર નહીં કરવાનો નિર્ણય લીધો છે.

મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ પર જ  પ્રવેશની યાદી ચેક કરવાની સૂચના આપવામાં આવી છે.એક ફેકલ્ટી ડીને કહ્યું હતું કે, ગત વર્ષે યુનિવર્સિટીની વેબસાઈટ પર પણ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું લિસ્ટ મૂકવામાં આવતું હતું પરંતુ આ વર્ષથી યુનિવર્સિટી  સત્તાધીશોએ આ નિર્ણયમાં ફેરફાર કર્યો છે.જોકે યુનિવર્સિટી દ્વારા પહેલા રાઉન્ડમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને એસએમએસ મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓએ સાથે સાથે જીકાસ પોર્ટલ પર પ્રવેશ યાદીમાં નામ છે કે નહીંં તે ચેક કરી લેવું હિતાવહ છે.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીની કોમર્સ, આર્ટસ, સાયન્સ સહિતની ફેકલ્ટીઓના  વિવિધ ડિગ્રી કોર્સમાં તા.૨૯ થી ૩૧ મે સુધી પહેલા રાઉન્ડમાં પ્રવેશ અપાશે.આ દરમિયાન વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે.જે વિદ્યાર્થી ફી નહીં ભરે તેનો પ્રવેશ કન્ફર્મ નહીં ગણાય.આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ જરુર પડે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાવી શકશે.ઉલ્લેખનીય છે કે, જીકાસ પોર્ટલ થકી થઈ રહેલી પ્રવેશ પ્રક્રિયામાં યુનિવર્સિટી એફવાયમાં કુલ મળીને ૧૧૪૯૬ બેઠકો પર પ્રવેશ આપશે.આ બેઠકોની સામે ૨૨૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરેલી છે.

પહેલા રાઉન્ડમાં ૫૦ ટકા કરતા વધારે બેઠકો ભરાઈ જાય તેવી શક્યતા 

કોમર્સમાં ગત વર્ષે પહેલા રાઉન્ડ બાદ સત્તાધીશોને એફવાયની બેઠકો વધારવાની ફરજ પડી હતી 

એમ.એસ.યુનિવર્સિટીમાં એસીપીસી દ્વારા જે ફેકલ્ટીઓમાં પ્રવેશ અપાય છે તે સિવાયની ફેકલ્ટીઓમાં તા.૨૯ મેથી ત્રણ દિવસ માટે પ્રવેશ કાર્યવાહી શરુ થવાની છે ત્યારે પહેલા રાઉન્ડમાં જ યુનિવર્સિટીની ૫૦ ટકા કરતા વધારે બેઠકો ભરાઈ જાય તેવી શક્યતા છે.ગત વર્ષે પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી.

કોમર્સમાં પણ મોટાભાગની બેઠકો પહેલા જ રાઉન્ડમાં ભરાઈ ગયા બાદ ૧૦૦૦ જેટલી બેઠકો વધારવામાં આવી હતી અને ૬૪૦૦ બેઠકો પર પ્રવેશ અપાયો હતો.આ વર્ષે સત્તાધીશોએ ૫૮૦૦ બેઠકો પર પ્રવેશ આપવાની જાહેરાત કરી છે.

પહેલા રાઉન્ડમાં જો ગત વર્ષની જેમ મોટાભાગની બેઠકો ભરાઈ જશે તો એફવાયબીકોમમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ઉહાપોહ થઈ શકે છે અને ગત વર્ષની જેમ સત્તાધીશોને બેઠકો વધારવાની ફરજ પડી શકે છે.

રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યા બાદ 

પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ઘરે બેઠા ઓનલાઈન ફી ભરી શકશે 

વિદ્યાર્થીઓને જરુર પડે તો માર્ગદર્શન આપવા વિવિધ ફેકલ્ટીઓમાં ઓફિસો કાર્યરત રહેશે


જીકાસ પોર્ટલ થકી એમ.એસ.યુનિવર્સિટીમાં તા.૨૯ મેથી વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશનો પહેલો રાઉન્ડ શરુ થશે.દરમિયાન યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે કહ્યું હતું કે, જેમને પણ પ્રવેશ મળ્યો હશે તે વિદ્યાર્થીને ઓટીપી આવશે અને તેના થકી તે પ્રવેશ કન્ફર્મ કરીને મોબાઈલ પરની લિન્ક પરથી ઓનલાઈન ફી ભરી શકશે.વિદ્યાર્થીને યુનિવર્સિટીમાં આવવાની જરુર નહીં રહે.

તેની સાથે સાથે તેમણે કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓને ઓટીપી મળ્યા પછી પણ કોઈ તકલીફ હોય તો તે વિદ્યાર્થી જે તે ફેકલ્ટીનો સંપર્ક કરી શકે છે.જેમ કે કોમર્સ ફેકલ્ટી દ્વારા જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ ખાતે, સાયન્સ  ફેકલ્ટી દ્વારા સી વી રામન બિલ્ડિંગ ખાતે તથા આર્ટસ ફેકલ્ટી દ્વારા પ્રેમાનંદ હોલ ખાતે ઓફિસને કાર્યરત રાખવામાં આવશે.યુનિવર્સિટીની વેબસાઈટ પર પણ દરેક ફેકલ્ટીની પ્રવેશ યાદી પ્રસિધ્ધ થાય તે માટે મંજૂરી મેળવવાના પ્રયાસો ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, એડમિશનને ધ્યાનમાં રાખીને  પ્રવેશ પ્રક્રિયા સાથે સંકળાયેલા  ફેકલ્ટી ડીનો અને અધ્યાપકોની ઈન્ચાર્જ વાઈસ  ચાન્સેલર સાથે આજે મોડી રાત સુધી બેઠક ચાલી હતી.પ્રો.ધનેશ પટેલે દરેક ફેકલ્ટીની દિવસ દરમિયાન મુલાકાત લઈને એડમિશન કાર્યવાહની ચકાસણી પણ કરી હતી.

મેનેજમેન્ટ ફેકલ્ટીમાં ચાલતા ઈવનિંગ

એમબીએ પોગ્રામની ૮૦ બેઠકો સામે ૪૦ પ્રવેશ ફોર્મ ભરાયા

પ્રવેશ માટે અરજી કરનાર તમામ ઉમેદવારોને પહેલા રાઉન્ડમાં જ પ્રવેશ મળી જાય તેવી શક્યતા 

એમ.એસ.યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીના ઈવનિંગ એમબીએ પોગ્રામ માટેની ૮૦ બેઠકો સામે હજી સુધી ૪૦  પ્રવેશ ફોર્મ ભરાયા છે.

આ કોર્સમાં પ્રવેશ માટેની કાર્યવાહી પણ જીકાસ પોર્ટલ થકી થઈ રહી છે.તા.૩૧ મે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.પ્રવેશ મેળવવા માગતા ઉમેદવારોના ફોર્મ ભરાયા બાદ તા.૩ થી ૫ દરમિયાન પર્સનલ ઈન્ટરવ્યૂ યોજાશે.હજી પણ ૫૦ ટકા બેઠકો ખાલી હોવાથી કોર્સ માટે જરુરી લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોને પહેલા જ રાઉન્ડમાં પ્રવેશ મળી જાય તેવી સંભાવના છે.

કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા એક્ઝિક્યુટિવ્સને ધ્યાનમાં રાખીને એમબીએનો કોર્સ શરુ કરવામાં આવ્યો છે.આ વર્ષથી તેમાં સસ્ટેનિબિલિટી વિષયનો પણ ઉમેરો કરાયા છે.પ્રવેશ લેનારા ઉમેદવારો તેને પણ મુખ્ય વિષય રાખી શકશે.

ઉલ્લેખનીય છે કે, ડિગ્રી મેળવ્યા બાદ બે વર્ષનો અનુભવ ધરાવતા અને યુનિવર્સિટી કેમ્પસથી  ૧૬ કિલોમીટરના વિસ્તારમાં નોકરી કરતા કે રહેતા ઉમેદવારો તેમાં એપ્લાય કરી શકે છે.સાથે સાથે ઉમેદવારો જે કંપનીમાં  કે ફર્મમાં કામ કરતા હોય તેનું છેલ્લા ત્રણ વર્ષનું જીએસટી રિટર્ન પણ જરુરી છે.

Tags :